જામનગર: શહેરના જાણીતા વકીલ અને મુસ્લીમ વાઘેર સમાજના આગેવાન એવા હારુન પલેજાની બેડી વિસ્તારમાં સરા જાહેર હત્યા કરી નાંખવામાં આવી છે. આ હત્યાને પગલે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ ઘટનાની ગંભીરતાને પારખીને જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો આ કેસની તપાસમાં જોડાઈ ગયો છે.
સમગ્ર ઘટનાક્રમઃ જામનગર શહેરના બેડી વિસ્તારમાં રહેતા એડવોકેટ હારુન પલેજા સાંજે સાડા છ વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ લઈને બેડેશ્વર વિસ્તારમાં આવેલી વાછાણી ઓઈલ મિલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તેઓ હાલ રમજાન માસ ચાલી રહ્યો હોય ત્યારે રોઝું ખોલવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સૌ પ્રથમ તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેથી તેઓ મોટર સાયકલ પરથી નીચે પડી ગયા હતા. ત્યારબાદ કેટલાક શખ્સો છરી જેવા ધારદાર હથીયાર સાથે ધસી આવ્યા હતા. આ શખ્સોએ તેમના પર હીચકારો હુમલો કરી દેતાં પાલેજા લોહી લોહાણ થયા હતા. આ ઘટના બાદ તેમના ભત્રીજા વોર્ડ નં.1ના કૉંગ્રેસ કોર્પોરેટર નૂર મહંમદ પલેજા અને અન્ય મિત્રોએ ઈજાગ્રસ્ત પાલેજાને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડ્યા હતા. જો કે સારવાર મળે તે અગાઉ પાલેજા મૃત્યુ પામ્યા હતા.
પોલીસ કાર્યવાહીઃ આ હત્યાના બનાવને પગલે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સૌ પ્રથમ જી.જી. હોસ્પિટલમાં અને ત્યારબાદ જે વિસ્તારમાં બનાવ બન્યો હતો ત્યાં પહોંચ્યા હતા. તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું. જેઓની સાથે શહેર વિભાગના ડી.વાય. એસ.પી. જયેન્દ્ર સિંહ ઝાલા, સિટી બી. ડિવિઝનના પી.આઈ. એચ.પી. ઝાલા તથા અન્ય સ્ટાફ, એલ.સી.બી.ની ટુકડી વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમજ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ હત્યા પ્રકરણમાં બેડી વિસ્તારના નામચીન સાયચા બંધુઓ અથવા તો તેના મળતીયાઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
જામનગર વકીલ મંડળમાં ઉગ્ર રોષઃ જામનગરમાં થોડા વર્ષો પહેલા જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની પણ આ જ રીતે સરાજાહેર ટાઉનહોલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હવે વધુ એક જાણીતા અને પીઢ ધારાશાસ્ત્રી હારૂન પલેજાની પણ સરા જાહેર નિર્મમ હત્યા કરાતા જામનગરના વકીલ મંડળમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે. જ્યારે જામનગર વકીલ મંડળ દ્વારા આવતીકાલે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી એક પણ કેસ ચલાવવામાં આવશે નહીં. આરોપીને ઝડપી પાડવા તેમજ સખત સજા આપવાની માંગ કરી છે તથા મૃતક વકીલના પરિવારને ન્યાય મળે તેવી માંગ જામનગરના વકીલ મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.
જી.જી. હોસ્પિટલ ખાતે સમર્થકો ઉમટ્યાઃ આ ઘટનાની જાણ જંગલના દાવાનળની જેમ સમગ્ર શહેરમાં પ્રસરી ગઈ હતી. જેના પરિણામે જી.જી. હોસ્પિટલ ખાતે મૃતક હારુન પાલેજાના અન્ય સમર્થકો, જામનગર વકીલ મંડળના પ્રમુખ, સભ્યો તેમજ મુસ્લીમ સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા. જી.જી. હોસ્પિટલ ખાતે હારુન પાલેજાની હત્યાને પગલે અનેક લોકોના ટોળે ટોળે ઉમટી પડ્યા હતા.
મુસ્લીમ સમાજમાં માતમઃ જામનગરના મુસ્લીમ સમાજમાં આ ઘટનાથી માતમ છવાયો છે. મૃતક હારુન પાલેજા મુસ્લીમ સમાજમાં અગ્રણી હતા અને સમાજના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ રહેતા હતા. તેથી આવા સામાજિક આગેવાનની સરાજાહેર હત્યાથી મુસ્લીમ સમાજમાં માતમ છવાઈ ગયો છે.
આ ઘટના ઘટી તે બેડી રોડ પર અમે અત્યારે કોમ્બિંગ કરી રહ્યા છીએ. આ ઘટનાની ઊંડાણપૂર્વકની તપાસ અને તજવીજ ચાલી રહી છે. અમારી એસઓજી સહિતની ટીમો આરોપીઓને ઝબ્બે કરવા લાગેલી છે. અમે જિલ્લા પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ. આ ઘટનાના આરોપીઓ પર સખત કાર્યવાહી કરવામાં આવશે...પ્રેમસુખ ડેલુ (એસપી, જામનગર)
જામનગરમાં થોડા વર્ષો પહેલા જાણીતા ધારાશાસ્ત્રી કિરીટ જોશીની પણ આ જ રીતે સરાજાહેર ટાઉનહોલ વિસ્તારમાં હત્યા કરવામાં આવી હતી. હવે વધુ એક જાણીતા અને પીઢ ધારાશાસ્ત્રી હારૂન પલેજાની પણ સરા જાહેર નિર્મમ હત્યા કરાતા જામનગરના વકીલ મંડળમાં ભારે આક્રોશ છે. આ કેસમાં આરોપીની સત્વરે ધરપકડ અને આરોપી પર સખતમાં સખત કાર્યવાહી નહિ થાય ત્યાં સુધી અમારા પ્રમુખ ભરત સુવાની અધ્યક્ષતામાં અમે જામનગર વકીલ મંડળના સભ્યો કોર્ટ પ્રક્રીયાથી અળગા રહી વિરોધ નોંધાવશું...મનોજ અનડકટ (મેમ્બર, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત)