ગાંધીનગર : આ નવરાત્રી ગુજરાતીઓ માટે ખાસ બનવાની છે, કારણે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે ગરબા રમવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ETV Bharat સાથે વાતચીતમાં આ વાતની પુષ્ટી કરી છે.
સવારે 5 વાગ્યા સુધી ગરબા ચાલુ રહેશે ? નવરાત્રીના નવ દિવસ ગરબે ઘૂમવા ગુજરાતીઓના પગ થનગની રહ્યા છે. પણ ઘટે તો ફક્ત સમય ઘટે, આવું જ કંઈ ખેલૈયાઓ સાથે થાય છે. જોકે આ વર્ષની નવરાત્રીએ હવે ગરબા પ્રેમી ગુજરાતીઓનો આનંદ બેવડાશે. કારણ કે, આ વર્ષે નવરાત્રીમાં તમામ ગરબા આયોજન મોટી રાત સુધી ચાલુ રહેશે.
- ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી @Bhupendrapbjp ના માર્ગદર્શનમાં નવરાત્રિના પાવન અવસર પર સૌ ખેલૈયાઓ માઁ અંબાની ભક્તિ અને શક્તિમાં રંગાઈ શકે અને મોડીરાત સુધી ગરબા કરી શકે સાથે સાથે નાના વેપારીઓ, ફેરીયાઓ, રોજમદારો વેપાર કરી શકે તેવી પણ ચિંતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી હોય… pic.twitter.com/RGVWh7KkyO
— Harsh Sanghavi (@sanghaviharsh) September 28, 2024
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વાતની પુષ્ટી કરી : ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ETV Bharat ગુજરાતના એડિટર મયુરિકા માયા સાથે ટેલિફોનિક વાતચીત કરતા આ વાતની પુષ્ટી કરી છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સવારે 5 વાગ્યા સુધી ગરબા રમવા અંગે સરકાર દ્વારા કોઈ સત્તાવાર નિર્ણય લેવાયો નથી, પરંતુ આ વર્ષે ગુજરાતી મોડી રાત સુધી ગરબે ઘૂમી શકશે.
ગરબા આયોજન માટે સમયમર્યાદા શું ? નોંધનીય છે કે, અગાઉ ગુજરાત સરકાર દ્વારા ગરબા આયોજન માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી હતી. ગુજરાત સરકારના પરિપત્ર અનુસાર રાત્રે 12 વાગ્યા સુધી જ ગરબા આયોજન ચાલુ રાખી શકાશે. જોકે, ગૃહ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતીઓ વહેલી સવારે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે તેવી માહિતી હતી. પરંતુ એ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ સમય નક્કી કરવામાં કે નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે એવો મત વ્યક્ત કરવામાં આવ્યો છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતીઓ આખી રાત ગરબા રમી શકે તો કોઈ વાંધો નહીં હોય શકે.