વાઘોડિયાઃ વડોદરાની આ વિધાનસભા બેઠક પર લોકસભાની સાથે સાથે પેટા ચૂંટણી પણ થવાની છે. આ બેઠક પર અપક્ષમાંથી મધુ શ્રીવાસ્તવે પોતાની દીકરીને સાથે રાખી વાજતે ગાજતે ફોર્મ ભર્યુ હતું. જો કે આજે મધુ શ્રીવાસ્તવે પારોઠના પગલાં ભર્યા છે. તેમણે વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાંથી અપક્ષ તરીકેની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. આ ઘટનાને સંદર્ભે ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મધુ શ્રીવાસ્તવ પર કટાક્ષ પણ કર્યા છે.
કોંગ્રેસના કનુ ગોહિલને ટેકો આપશેઃ મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. કોંગ્રેસના કાર્યાલયનું ઉદઘાટન કનુભાઈ ગોહિલના સમર્થનમાં તેઓ સાથે રહીને રિબન કાપી હતી. આ પ્રસંગે મધુભાઈની દીકરી નીલમ શ્રીવાસ્તવ પણ ઉપસ્થિત રહી હતી. જો કે મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસને ટેકો આપશે તેમ જણાવ્યું હતું. મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, હું ક્ષત્રિય સમાજનો છું અને ક્ષત્રિય સમાજમાં હાલમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિરોધના વાદળ છવાયા છે. ક્ષત્રિય સમાજે ઉપાડેલો વિરોધ તદ્દન સાચો છે એટલે તેથી હું ક્ષત્રિય સમાજ સાથે રહીને કોંગ્રેસને સમર્થન આપીશ.
ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો કટાક્ષઃ વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાંથી અપક્ષ તરીકે મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પરત ખેંચી છે. આ ઘટના પર આ બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવના દીકરીએ મીડિયા સમક્ષ ભાડે આપેલા મકાન સાથે પોતાની વાઘોડિયાની બેઠકને સરખાવી હતી. ત્યારે શું વાઘોડિયાની બેઠક એ તેમની જાગીર છે? 11 મહિનાના ભાડા કરારના ઘરને ખાલી કરાવવાની જગ્યાએ પોતે જ રણછોડ થઈ ગયા. જેવા અનેક કટાક્ષો ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતાના પૂર્વ પ્રતિસ્પર્ધી મધુ શ્રીવાસ્તવ પર કર્યા હતા.
વારંવાર બદલ્યા નિવેદનોઃ વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની છાપ દંબગ નેતા તરીકેની છે. જો કે હવે તેમના નિવેદનો વિરોધાભાસી જોવા મળે છે. તેમણે મોટી મોટી વાતો કરી જંગી મતોથી જીતવાની આશા સાથે તેઓએ પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું હતું. પોતાના સમર્થકો સાથે તેઓ વાજતે ગાજતે ફોર્મ ભરવા ગયા હતા અને જંગી મતોથી જીતવા માટેની હાકલ કરી હતી જો કે તેઓ પુનઃ પાણીમાં બેસી ગયા છે અને ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખે તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે. મધુ શ્રીવાસ્તવ પોતાની જ જુબાન ઉપર કાયમ નથી રહેતા થોડા દિવસો અગાઉ તેઓએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે હું વાઘોડિયા બેઠક ઉપર ભાજપાના ઉમેદવારનો વિરોધ કરું છું અને લોકસભા બેઠક માટે ભાજપાના ઉમેદવારને સપોર્ટ કરીશ. મારી જનતાને તેઓને વોટ આપવા જણાવીશ. પરંતુ આજે ફોર્મ પરત ખેંચતી વખતે પોતાનું સ્ટેટમેન્ટ બદલી નાખ્યું હતું અને કહ્યું હતું કે ઉપર અને નીચે એટલે કે વાઘોડિયા અને લોકસભા બેઠક ઉપર બંનેમાં હું કોંગ્રેસને સપોર્ટ કરીશ.