જૂનાગઢ: મજેવડી ગામમાં દેવતણખી ધામમાં અષાઢી બીજની ધાર્મિક વિધિવિધાન અને પૂજન સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને ખાસ કરીને લુહાર સમાજના વ્યક્તિઓ દેવતણખી બાપાના દર્શન કરવા માટે આવે છે અને તેમની જાગૃત સમાધિના દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરે છે. ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ થયા મુજબ અષાઢી બીજના દિવસે દેવતણખી બાપાએ જીવતા સમાધિ લીધી હતી. જેને લઈને આજે અષાઢી બીજના પાવન દિવસે દેવતણખી ધામમાં દેવતણખી બાપાની સાથે તેમની પુત્રી લીરલ માતાજીની જાગૃત સમાધિના દર્શન કરીને ભાવિ ભક્તો પોતાની જાતને ધન્ય કરે છે.
દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી: ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ મુજબ દેવાયત પંડિતે દેવતણખી બાપાની પરીક્ષા કરી હોવાનું માનવામાં આવે છે. દેવાયત પંડિત પોતાના ગુરુની શોધમાં ગિરનાર તરફ આવી રહ્યા હતા. ત્યારે મજેવડી નજીક તેમના ગાડાની ધરી તૂટી ગઈ હતી અને દેવાયત પંડિતે મજેવડીના લુહાર દેવતણખી બાપાને ત્યાં જઈને લોખંડની ધરી સાધી આપવાની વાત કરી હતી. પરંતુ લુહાર સમાજની ધાર્મિક પરંપરાને લઈને અગિયારસના દિવસે ભઠ્ઠી ચાલુ કરીને લોખંડને ગરમ કરવું ધાર્મિક આસ્થાની વિરુદ્ધમાં હતું. તેમ છતાં દેવાયત પંડિતે લોખંડની ધરીને સાધી આપવાની જીદ કરતા તેમણે પોતે ભઠ્ઠીને પ્રગટાવી અને લોખંડ ગરમ કરી એરણ પર રાખતા હથોડાનો ઘા ન ઝીલી શકતા એરણ પાતાળમાં પહોંચી ગયું હતું.
પરચો જોઈને દેવાયત પંડિત અવાચક: લોખંડનું એરણ પાતાળમાં પહોંચી જતા દેવાયત પંડિત પણ ખૂબ અવાચક બની ગયા હતા. ત્યારબાદ દેવાયત પંડિતની લોખંડની ગરમ ધરીને દેવતણખી બાપાએ તેમના પગ પર રાખીને તેના પર હથોડાના ઘા ઝીલી તેને સાધી આપી હતી. દેવતણખી બાપાના પરચા જોઈને દેવાયત પંડિત ખૂબ અવાચક અને દિગ્મૂઢ બની ગયા હતા. દેવતણખી બાપાના આ પરચાની આજે પણ હાજરાહજૂર સાક્ષી દેવતણખી ધામમાં આવેલી તેમની જીવંત સમાધિ આપી રહી છે.
દેવતણખી બાપા અને પુત્રી લીરલ માતાજીની સમાધિ: દેવતણખી બાપાના પરચા આજે પણ એટલા જ હાજરા હજૂર માનવામાં આવે છે. દેવતણખી બાપા પોતે આત્મજ્ઞાની હોવાને કારણે પણ તેની પૂજા કરવામાં આવે છે. અષાઢી બીજના દિવસે તેઓ નશ્વર દેહને છોડીને જતા રહેશે અને તેમના માટે દેવતણખી ધામમાં સમાધિની તૈયારી કરવામાં આવે તેવી વાત તેમના ભક્તોને કરી હતી. આ વાત સાંભળીને તેમની પુત્રી લીરલ માતાજી પણ દેવતણખી બાપાની સાથે સમાધિ લેવા માટે તૈયાર થઈ ગયા હતા અને ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે દેવતણખી બાપા અને તેમની પુત્રી લીરલ માતાજીએ જીવંત સમાધિ લીધી હતી. ત્યારથી અષાઢી બીજના દિવસે દેવતણખી ધામમાં ધાર્મિક પૂજા અને દર્શનનું ખૂબ વિશેષ મહત્વ જોવા મળે છે.