વલસાડ: જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે વલસાડ નજીકના સોનવાડા ગામે બપોર બાદ ચક્રવાતી પવન સાથે વંટોળ ફુંકાતા સ્થાનિક રહીશના સિમેન્ટના પતરા ઉડી ગયા હતા. મોટાભાગના પતરા ઉડીને ઘરથી 10 ફૂટ દૂર પડ્યા હતા તો કેટલાક તૂટી જતાં ઘર માલિકને નુકસાન પહોંચ્યું છે.
શુક્રવારના રોજ મોડી સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો તો કેટલીક જગ્યાઓ પર વાદળછાયું વાતાવરણ હતું. જેને પગલે ગરમીથી થોડીક રાહત મળી હતી પરંતુ વલસાડ તાલુકાના સોનવાડા ગામે એક ઘરમાં ચક્રવાતી વંટોળ ફોકાતા સિમેન્ટના પતરા ઉડી ગયા હતા. અચાનક ચક્રવાતી પવન ફૂંકાતા કેતનભાઇ દિનેશભાઈ પટેલના ઘરમાં છાત ઉપર લગાવેલા સિમેન્ટના ત્રણથી ચાર જેટલા પતરા ઉડી ગયા હતા તો કેટલાક ઉપર ઉછળીને ઘરમાં પડતા નીચે પણ તૂટી ગયેલા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગરીબ પરિવારને પતરાં તૂટી જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
![વલસાડના સોનવાડા ગામે ચક્રવાતી પવન આવતા પતરા ઉડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-04-2024/gj-vld-01-speedlywind-avb-gj10047_07042024111234_0704f_1712468554_816.png)
મોડી સાંજે બનેલી આ ઘટનામાં અચાનક પવન આવતા પરિવારના સભ્યો ઘરની બહાર નીકળી ગયા હતા. જેના કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. જોકે ઘટના બનતા પરિવારના સભ્યો ભયભીત બન્યા હતા. સોનવાડા ગામે બનેલી પતરા ઉડવાની ઘટના અંગેની જાણકારી ગામના સરપંચને કરવામાં આવી હતી. જોકે અચાનક જ વંટોળને કારણે ચોમાસા વિના અચાનક જ પવન ફૂંકાવાને લઈને બનેલી આ ઘટનાએ સમગ્ર ગામમાં ચર્ચા જગાવી છે.