અમદાવાદ : ગત 22, ઓગસ્ટ 2024 ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર વિભાગના 9 અધિકારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપતા તમામ 9 અધિકારીઓને 22 જાન્યુઆરી, 2025 એટલે આજથી ફરજ પર પરત ફરવાનો આદેશ આપ્યો છે. તમામ અધિકારીઓના ટર્મિનેશન રદ કરવામાં આવ્યા છે.
AMC ફાયર વિભાગના અધિકારી ટર્મિનેટ : ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે અરજદાર કૈઝાદ દસ્તુર સહિતના નવ અધિકારીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકાર્યો હતો. આ રીટમાં અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે, ઓથોરીટી દ્વારા 22, ઓગસ્ટ 2024 ના રોજ અરજદારોને ટર્મિનેટ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમના વિરોધ ખાતાકીય તપાસ કર્યા બાદ મનસ્વી અને અન્યાય રીતે તેમને ટર્મિનેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અરજદારોનો દાવો અને રજૂઆત : આ સાથે એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, અરજદારો ફાયર વિભાગની ઇમરજન્સી સર્વિસમાં જોડાવા માંગતા હતા, તેથી નાગપુર NFSC ખાતે તેમણે જરૂરી અભ્યાસ અને કોર્સ કર્યો હતો. આ કોર્સ બાદ તેમને ફાયર વિભાગમાં સેવા પર લેવામાં આવ્યા અને તેઓ સ્ટેશન ઓફિસર તરીકે સેવા આપી રહ્યા હતા. આ લોકોની ફાયર અધિકારી તરીકે સેવાઓ શરૂ થઈ ગઈ હતી.
શું હતો અરજદારો પર આરોપ ? બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી મંડળના સભ્ય હોવાનો દાવો કરતા એક વ્યક્તિએ તેમના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે, અરજદારોએ નાગપુર NFSC માંથી બોગસ અને ઉપજાવી કાઢેલા દસ્તાવેજના આધારે પ્રવેશ મેળવ્યો હતો. આ મામલે એક ફાયર અધિકારી અગાઉના ફાયર ઓફિસરનો પુત્ર હોવાથી તેમના પ્રભાવનો ઉપયોગ કરી AMC ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર અને ડિવિઝનલ ઓફિસર તરીકેની નોકરી મેળવી લીધી હતી.
તપાસ સમિતિ અને આદેશ : આ ફરિયાદના આધારે કોર્પોરેશનના વિજિલન્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ અંતે અરજદારોને ચાર્જશીટ આપવામાં આવી. જેમાં અરજદારો વિરુદ્ધ કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે, અરજદારોએ જવાબ આપ્યો કે, તેમની વિરુદ્ધ કોઈ પુરાવા વિના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારબાદ એક તપાસ સમિતિ બનાવવામાં આવી. બાદમાં અમદાવાદ મનપાના આદેશને રદબાતલ કરવા અરજદારો દ્વારા રીટ પીટીશન કરવામાં આવી હતી.
ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારીઓ : ઉલ્લેખનીય છે કે, ગત વર્ષના ઓગસ્ટ મહિનામાં ડિવિઝનલ ફાયર ઓફિસર ઓમ બીપીન જાડેજા અને કૈઝાદ દસ્તુર તથા સહાયક સબ ઓફિસર આસિફ અહેમદ મોહમ્મદ હનીફ શેખ, સુધીર દાદુભાઈ ગઢવી, શુભમ અમીરદાન ખડીયા, અભિજીત ગઢવી, મેહુલ ગઢવી, અનિરુદ્ધસિંહ કનકસિંહ ગઢવી અને ઈનાયત હુસેન શેખને અમદાવાદ મહાનગરપાલિકાના ફાયર વિભાગ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટનો અંતિમ ચુકાદો : તમામ નવ અધિકારીઓ પર બોગસ ડિગ્રી આધારે ફાયર વિભાગમાં ભરતી થયાનો આક્ષેપ હતો. જોકે, સસ્પેન્ડેડ ફાયર અધિકારીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી હતી. આખરે હાઇકોર્ટે આ અંગે મોટો ચુકાદો આપતા તમામ અધિકારીઓને 22 જાન્યુઆરીથી કાયમી કરી દેવાનો આદેશ આપ્યો હતો. હવે આ અધિકારીઓ રાહત મળતા આજે ફરીથી નોકરી જોઈન કરશે.