અમદાવાદઃ અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ફરી એક હોસ્પિટલ વિવાદમાં આવી છે. PMJAY હેઠળ ઓપરેશન કર્યાના એક જ કલાકની અંદર દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો દ્વારા ડોક્ટરની બેદરકારી હોવાના આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે, ત્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશન દ્વારા એક્સિડેન્ટલ ડેથ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ કાકડિયા હોસ્પિટલ વિવાદમાં
છેલ્લાં કેટલાક સમયથી અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલનો મામલો ચર્ચામાં છે, PMJAY જેવી સરકારી યોજનામાં નાણાકીય લાભ મેળવવા માટે સામાન્ય લોકોના જીવન સાથે ચેડા કરતી ખ્યાતી હોસ્પિટલ બાદ હવે અન્ય એક હોસ્પિટલ પણ ચર્ચામાં આવી છે.
સ્ટેન્ડ મુક્તાના 1 કલાકમાં જ દર્દીનું મોતઃ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલી કાકડીયા હોસ્પિટલમાં ગતરોજ સાંજે અમરાઈવાડી વિસ્તારના રહેવાસી અરવિંદભાઈ પરમાર નામના વ્યક્તિને છાતીમાં દુખાવો થતાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા એક નળી 100% બ્લોક છે તેવું કહી સ્ટેન્ટ મૂકવું પડશે તેવું પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું. સ્ટેન્ટ મુકતાના એક જ કલાક બાદ અરવિંદભાઈનું મૃત્યુ થતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો.
![કાકડીયા હોસ્પિટલમાં સ્ટેન્ડ બેસાડ્યું અને એકજ કલાકમાં અરવિંદ પરમાર નામના દર્દીનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/23025362_kakdiya-1.jpg)
શું છે સમગ્ર ઘટનાઃ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ઉદયનગરની ચાલીમાં રહેતા અને લારી ચલાવી પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા અરવિંદભાઈ પરમાર નામના દર્દીને ગતરોજ સાંજે છાતીમાં દુઃખાવો ઉપડતા નજીકની કાકડિયા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
ડોક્ટરોએ કહ્યું નળી 100% બ્લોક છે, સ્ટેન્ટ મુકવું જ પડશે
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે કાકડિયા હોસ્પિટલ દ્વારા એન્જિયોગ્રાફી કર્યા વગર પ્રાથમિક તપાસમાં એક નળી 100% બ્લોકેજ છે તેવું કહી સ્ટેન્ડ મૂકવું પડશે તેવી વાત પરિવારજનોને કરવામાં આવી. મૃતક અરવિંદભાઈ પરમારના પત્ની જોષનાબેન પરમાર ઈટીવી ભારત સાથે વાત કરતા જણાવે છે કે "અમારી પાસે પૈસા ન હતા તેથી ડોક્ટર દ્વારા તેવું કહેવામાં આવ્યું કે તમારી પાસે જો PMJAY કાર્ડ હોય તો તે આપો તમામ સારવાર મફતમાં થઈ જશે અને અરવિંદભાઈ સાજા થઈ જશે પરંતુ; અમારી પાસે ત્યારે કાર્ડ ન હતું, કાર્ડ ઘરે પડ્યું હતું તેથી અમે કાર્ડ લેવા માટે ઘરે ગયા અને પાછા આવ્યા તેટલામાં ડોક્ટર દ્વારા તેમની એનજીઓગ્રાફી કરી સ્ટેન્ટ બેસાડી દેવામાં આવ્યું હતું.
![PMJAY હેઠળ ઓપરેશન કર્યાના એક જ કલાકની અંદર દર્દીનું મૃત્યુ થતાં કાકડીયા હોસ્પિટલ આવી વિવાદમાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/23025362_kakdiyahodpita.png)
ઑપરેશન બાદ તાત્કાલિક નાસ્તો આપવામાં આવ્યો
સ્ટેન્ડ બેસાડ્યા બાદ અરવિંદભાઈ ઠીક હતા પરંતુ છાતીમાં થોડો દુખાવો થતો હતો. જ્યારે એ અંગે પરિવારજનો દ્વારા ડોક્ટરને જાણ કરવામાં આવી ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે સ્ટેન્ટ બેસાડ્યું છે, એટલે થોડો દુઃખાવો થશે એને તમે ચા નાસ્તો કરાવો.
ડોકટરોએ સ્વીકારી પોતાની બેદરકારી
ચા નાસ્તો કરાવ્યા બાદ થોડા જ સમયમાં અરવિંદભાઈનું શરીર ઠંડુ પડવા લાગ્યું અને તેઓનું અવસાન થયું હતું. અરવિંદભાઈના મૃત્યુંથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો, પરિવારજનોએ ડોક્ટર્સને પૂછતા ઓપરેશન કરનાર ડૉ. હિતેન બારોટ દ્વારા પરિવારજનો સમક્ષ સ્વીકારવામાં આવ્યું કે ભૂલથી એક નળી ફાટી ગઈ હતી તેથી અરવિંદભાઈનું મૃત્યુ થયું છે.
![પત્નીએ કહ્યું મારે સંતાન નથી હું કોના આધારે જીવીશ, માતાએ કહ્યું હું નોધારી થઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/23025362_kakdiya-2.jpg)
પરિવારજનોએ કરી ન્યાય માંગ
આ સમગ્ર મામલે હવે પરિવારજનો ન્યાય માંગી રહ્યા છે અને ન્યાયની આશાએ પોલીસના શરણે ગયા છે. પરિવારજનોએ અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં જ્યારે ફરિયાદ નોંધાવા ગયા તો પોલીસે એક્સિડેન્ટલ ડેથ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
![અમદાવાદ ડી ડિવિઝનના ACP હિરેન્દ્ર ચૌધરીએ કહ્યું એક્સિડેન્ટલ ડેથ નોંધીને આગળની કાર્યવાહી શરૂ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/23025362_kakdiya-1.png)
પોલીસ દ્વારા એક્સિડેન્ટલ ડેથ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી
અમદાવાદ ડી ડિવિઝનના ACP હિતેન્દ્ર ચૌધરી દ્વારા ઇટીવી ભારત સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે. આ ઘટનાની જાણ થતા તાત્કાલિક શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એક્સિડેન્ટલ ડેથ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ડોકટર દ્વારા કબુલાત કરવામાં આવી, 100 માંથી એકાદ ઘટનામાં આવું થતું હોય છે
બીજી તરફ ઓપરેશન કરનાર ડોક્ટર હિતેન બારોટ સાથે પ્રાથમિક પૂછતાછમાં હિતેન બારોટ એ જણાવ્યું હતું કે "100 ઓપરેશન કરીએ ત્યારે એકાદ ઘટનામાં એવું થતું હોય છે કે નળી નબળી હોવાથી ફાટી જતી હોય છે".
![મૃતક અરવિંદભાઈ પરમારના પરિવારમાં આક્રંદ સાથે હોસ્પિટલમાં જવાબદાર તબીબો સામે આક્રોશ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-12-2024/23025362_kakdiya-2.png)
ડોક્ટરનુ લાઇસન્સ રદ કરવાની પરિવારની માંગ
વધુમાં હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે આ અંગેની વધુ તપાસ મેડિકલ કાઉન્સિલ દ્વારા કરવામાં આવશે. હાલ મૃતક અરવિંદભાઈ પરમારનું બોડી પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને બોડી સોંપી દેવામાં આવશે. બીજી બાજુ પરિવારજનો જ્યાં સુધી ન્યાય ન મળે અને ડોક્ટરનું લાઇસન્સ રદ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડી રહ્યા છે.
બંને ડોકટર અંગે મેડિકલ કાઉન્સિલ નિર્ણય કરશે
એક તરફ સરકાર દ્વારા ગરીબ અને સામાન્ય લોકોને આરોગ્ય સેવા મફત મળે તે માટે PMJAY જેવી યોજનાઓ લઈ આવવામાં આવે છે. તો બીજી બાજુ ખ્યાતિ હોસ્પિટલ જેવી પૈસાની લાલચી હોસ્પિટલો દ્વારા આને પૈસા કમાવાની એક સ્કીમ સમજી સામાન્ય લોકોના જીવ સાથે ચેડા કરતા પણ અચકાતા નથી. હાલ તો એક્સિડેન્ટલ ડેથ નોંધીને પોલીસ આગળની તપાસ કરી રહી છે ત્યારે બીજી તરફ ઓપરેશન કરનાર ડોક્ટર હિતેન બારોટ અને અન્ય સાથી ડોક્ટર અભિમન્યુ અંગે મેડિકલ કાઉન્સિલ નિર્ણય કરશે.