નવી દિલ્હીઃ લદ્દાખથી દિલ્હી આવી રહેલી પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકની દિલ્હી બોર્ડર પર અટકાયતનો મામલો હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. મંગળવારે એક વકીલે ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ સોનમ વાંગચુકને મુક્ત કરવાનો આદેશ આપવાની માંગ કરી હતી. કોર્ટે આ અરજી પર 3 ઓક્ટોબરે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે જો અરજદાર બપોરે 3.30 વાગ્યા સુધીમાં તમામ દસ્તાવેજો ફાઈલ કરી દે તો સુનાવણી 3 ઓક્ટોબરે થશે.
#WATCH | Ladakh | Large number of people in Leh protest against the detention of activist Sonam Wangchuk by Delhi Police from Delhi-Haryana Singhu border pic.twitter.com/JlnXdkjE0S
— ANI (@ANI) October 1, 2024
30 સપ્ટેમ્બરે લગભગ 120 લોકો સાથે લેહથી દિલ્હી આવી રહેલા સોનમ વાંગચુકના કાફલાને દિલ્હીની સિંધુ બોર્ડર પર રોકીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેઓ દિલ્હીના રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર વિરોધ કરવા આવી રહ્યા હતા. દિલ્હી પોલીસે છ દિવસ માટે ભારતીય ન્યાયિક સંહિતાની કલમ 163 લાગુ કરી છે. આ અંતર્ગત કોઈપણ વિરોધને મંજૂરી આપવામાં આવશે નહીં.
સોનમ વાંગચુકની ધરપકડને લઈને રાજકીય ખળભળાટ મચી ગયો છે. વિરોધ પક્ષોએ અટકાયતની કાર્યવાહીનો વિરોધ કર્યો છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી સોનમ વાંગચુકને મળવા આવ્યા હતા, પરંતુ તેમને મળવા દેવાયા નહોતા. વાંગચુક લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી સૂચિમાં સમાવેશ કરવાની માંગ કરી રહ્યા છે. વાંગચુકે 1 સપ્ટેમ્બરથી લેહથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા લગભગ એક હજાર કિલોમીટરની હતી.