ગુજરાત

gujarat

ETV Bharat / state

ખરાબ વાતાવરણને કારણે વલસાડની પ્રખ્યાત હાફૂસ કેરીને નુકસાન

વલસાડઃ સમગ્ર ગુજરાતમાં વલસાડ જિલ્લો કેરીના પાક માટે જાણીતો છે. ખાસ કરીને વલસાડ જિલ્લાની હાફૂસ કેરી સ્વાદ રસિયાઓના મોઢામાં પાણી લાવી દે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી વાતાવરણની થઈ રહેલી અસરોને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે. વલસાડ જિલ્લામાં એક અંદાજ મુજબ 3 હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. તેની પાછળના મુખ્ય પરિબળો વિશે Etv Bharatએ જાણવાનો પ્રયાસ કર્યો હતો.

By

Published : May 3, 2019, 9:54 PM IST

vld

વલસાડ જિલ્લાની વાત કરીએ તો, વલસાડ જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં આંબાવાડી ફેલાયેલી છે અને આ આંબાવાડીઓમાંથી હાફૂસ, કેસર, લંગડો જેવી અનેક પ્રકારની કેરીઓનું ઉત્પાદન થાય છે, પરંતુ છેલ્લા 3 વર્ષથી વાતાવરણમાં આવેલા પલટાને લઈને આંબા ઉપર આવતી મંજરીની સિઝનમાં જ ફ્લાવર કાળા પડીને ખરી જતા હોય છે. જેની પાછળનું કારણ વાતાવરણમાં આવેલો પલટો છે.

હાફૂસ કેરીને નુકસાન

વલસાડની ખ્યાતનામ ગણાતી હાફૂસ કેરીનું ઝાડ એટલી હદે સંવેદનશીલ છે કે, તેના ફ્લાવરિંગની સિઝનમાં જો વાદળછાયું વાતાવરણ રહે તો પણ તેની અસર ફ્લાવરિંગ ઉપર પડે છે સાથે-સાથે નજીકમાં આવેલા કેટલાક ઉદ્યોગોની અસર પણ ફ્લાવરિંગની સિઝનમાં થતી હોય છે. કેટલાક વિસ્તારમાં આ અસરને કારણે પણ કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ કેરીના પાકને બચાવવા માટે કેટલાક ખેડૂતો ફ્લાવરિંગની શરૂઆત થઈ હોય ત્યાં જ રાસાયણિક દવાઓનો છંટકાવ શરૂ કરી દે છે. જેના કારણે વધુ પડતી દવાઓના છંટકાવથી પણ આંબે બેસેલી મંજરીઓ કાળી થઈને ખરી જતી હોય છે અને કેરીના પાકને નુકસાન થાય છે.

વલસાડ જિલ્લાના બાગાયત અધિકારી એન. વી. પટેલે જણાવ્યું કે, ગત વર્ષ કરતા આ વર્ષે કેરીનો પાક 60થી 65 ટકા જેટલો ઉતારશે, પરંતુ ઋતુચક્રના આધારે જોઈએ તો હાલ કેરીનો પાક થોડો પાછળ ફેલાયો છે. વળી વાતાવરણની અસર પણ મહત્વની ભૂમિકા ભજવી છે. તેના કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન સહન કરવું પડી રહ્યું છે. વળી ખેડૂતોનો સૌથી મોટો દુશ્મન કહીએ તો તે મધીયો છે, જેના કારણે પાક 10 ટકા ઓછો ઉતરે છે. વલસાડના કેટલાક પેચમાં કેટલાક વિસ્તારમાં આ વખતે મધીયાનો અટેક જોવા મળ્યો હતો. તો ભેજ અને અચાનક વધેલા તાપમાન પણ અસર કરી છે.

નોંધનીય છે કે, સરકાર દ્વારા પાક વીમા યોજનામાં વલસાડ જિલ્લાની હાફૂસ કેરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેના કારણે ખેડૂતોને નુકસાનનું વળતર પણ મળી શકે તેમ નથી. તો સાથે-સાથે કેટલાક એવા ખેડૂતો પણ છે. જેમણે કેરીના પાકને બચાવવા માટે ગાંઠના પૈસા ખર્ચી દવાઓનો છંટકાવ કર્યો હતો, પરંતુ ઉત્પાદન નહિવત રહેતા તેમણે ખર્ચેલા પૈસા પણ તેમને માથે પડી શકે તેમ છે, ત્યારે ખેડૂતોની સ્થિતિ હાલ કપરી બની રહી છે. જેની પાછળનું મુખ્ય કારણ વાતાવરણની અને ગ્લોબલ વોર્મિંગની અસર હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details