ગુજરાત

gujarat

Rajkot News : રાજકોટના એસટી ડ્રાઈવરે ઈચ્છા મૃત્યુની માંગ કરી, મીડિયા અહેવાલ બની ગયો સજાનું કારણ

By ETV Bharat Gujarati Team

Published : Sep 1, 2023, 3:02 PM IST

મીડિયામાં સરકારી તંત્રના અહેવાલોને લઇ સકારાત્મક અભિગમ ન દાખવી નકારાત્મક અભિગમથી કર્મચારીને દંડવાનો આ અલગ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ એસટી વિભાગમાં બનેલી આ ઘટનામાં એસટી ડ્રાયવરે પીએમને અરજી કરી ઇચ્છામૃત્યુની માગ કરવા સુધી ગંભીર મામલો બની ગયો છે.

Rajkot News : રાજકોટના એસટી ડ્રાઈવરે ઈચ્છા મૃત્યુની માંગ કરી, મીડિયા અહેવાલ બની ગયો સજાનું કારણ
Rajkot News : રાજકોટના એસટી ડ્રાઈવરે ઈચ્છા મૃત્યુની માંગ કરી, મીડિયા અહેવાલ બની ગયો સજાનું કારણ

કર્મચારીને દંડવાનો આ અલગ કિસ્સો

રાજકોટ : રાજકોટ જિલ્લાના જસદણ ખાતે એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. આ માટે એસટી કર્મચારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના લોકોને ઈચ્છા મૃત્યુ માટેની અરજી કરી છે. જ્યારે આ કર્મચારીનો આક્ષેપ છે કે એસટી વિભાગ દ્વારા તેને એક જ ગુનાની પાંચ પાંચ વાર સજા આપવામાં આવી છે. જેના કારણે તે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે અને માનસિક તેમજ શારીરિક રીતના હેરાન થઈ રહ્યો છે. જેને લઇને તેમણે પોતાની ઈચ્છા મૃત્યુ માટેની અરજી કરી છે.

એસ ટીની હાલતનો મીડિયા અહેવાલ: સમગ્ર મામલે કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા નામના એસટીના ડ્રાઇવરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું અગાઉ મોરબી એસટી વિભાગમાં ડ્રાઇવરમાં ફિક્સ પગાર તરીકે કામ કરતો હતો. જ્યારે હાલ હું રાજકોટ જિલ્લાના જસદણ ડેપો ખાતે ફરજ બજાવી રહ્યો છું. એવામાં હું જ્યારે મોરબી ખાતે વર્ષ 2017માં એસ.ટી વિભાગમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો તે દરમિયાન મોરબીમાં મીડિયા મિત્રો દ્વારા એસટી બસની જે કથળેલી હાલત હતી તે બાબતનો અહેવાલ રજૂ કર્યો હતો અને આ માટે ઇન્ટરવ્યૂ પણ લીધા હતા. જે દરમિયાન અમારા અધિકારીઓએ પણ ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને અમે ડ્રાઇવર તરીકે ઇન્ટરવ્યૂ આપ્યા હતા. જ્યારે તે સમયે મોરબી ડેપોમાં અંદાજિત 56 જેટલી એસટી બસો હતી તેમાંથી 21 બસમાં બ્રેક નહોતી અને ધક્કા બસ જેવી તેની હાલત હતી.

જ્યારે મીડિયા મિત્રોએ આ સમગ્ર મામલે ઇન્ટરવ્યૂ લીધું ત્યારે આ અંગે અમે જે સત્ય હતું તે તેમને જણાવ્યું હતું અને એસટી ડેપોમાં માલસામાનના અભાવે બસોની હાલત આ પ્રકારની થઈ ગઈ છે તેવું નિવેદન કર્યું હતું. ત્યારે આ પ્રકારના નિવેદન બાદ એસ.ટી વિભાગ દ્વારા મારી ઉપર ગુનો નોંધવામાં આવ્યો હતો અને મારી પ્રથમ ગોંડલ ખાતે બદલી કરવામાં આવી હતી અને ત્યારબાદ મને 10 રૂપિયાનો દંડ કર્યો હતો. જેને મામલે મેં અપીલ કરી હતી. જેના કારણે એસટી વિભાગ દ્વારા મને નોકરી ઉપરથી બરતરફ કરવામાં આવ્યો અને ચાર મહિના માટે મને ઘરે બેસાડવામાં આવ્યો હતો. ત્યારબાદ મેં ફરી અપીલ કરતાં મને જસદણ ખાતે નોકરી ઉપર પરત લેવામાં આવ્યો હતો અને રૂપિયા 20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે એસટી વિભાગ દ્વારા જવાબદાર અધિકારીઓ સમક્ષ પગલાં લેવાને બદલે મારી વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. તેમજ એક ગુનામાં મને પાંચ પાંચ વખત સજા આપવામાં આવી છે...કુલદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (પીડિત)

સમગ્ર મામલે ન્યાય આપવામાં આવે તેવી માંગ : સમગ્ર મામલે કુલદીપસિંહે માંગ કરી છે કે મને એક જ ગુનામાં પાંચ પાંચ વખત સજા આપવામાં આવી છે. ત્યારે હું માત્ર સત્ય બોલ્યો હતો. જેને લઇને મારે આટલું ભોગવવું પડ્યું છે. જેને લઇને મને આ મામલે તાત્કાલિક ન્યાય આપવામાં આવે અથવા તો મને ઈચ્છા મૃત્યુ માટેની મંજૂરી આપવામાં આવે તેવી મેં પીએમ મોદીને રજૂઆત કરતી અરજી કરી છે.

  1. New ST Bus Launch : ગુજરાતમાં આગામી દિવસોમાં 2000 જેટલી નવી બસો ચાલુ થશે : હર્ષ સંઘવી
  2. Porbandar News : વિધાર્થીઓને સમયસર બસ નહિ મળતા પોરબંદર NSUI કાર્યકર્તાઓએ એસ.ટી બસોમાં લીંબુ-મરચા બાંધી કર્યો વિરોધ
  3. Vadodara News: પાદરા એસટી ડેપોમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓનો હોબાળો

ABOUT THE AUTHOR

...view details