પોરબંદરઃ આ ચિત્રો અનોખો સંદેશો આપી રહ્યા છે, જેમાં મંદિરો બંધ છે, પરંતુ તબીબો ભગવાન સ્વરૂપે કામ કરી રહ્યા છે તથા તાજેતરમાં મરકજ દ્વારા કોરોના ફેલાવવાની ઘટના અને પક્ષીઓને પાંજરામાંથી મુક્ત કરવાની ઘટનાથી અનોખો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
લોકડાઉનની સ્થિતિમાં ચિત્રકારે ચિત્રો દ્વારા લોકજાગૃતીનો સંદેશો આપ્યો
વિશ્વભરમાં કોરોના વાઇરસએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા ભારતમાં 21 દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ઘરમાં બેસીને અનેક કલાકારો પોતાની કલા દ્વારા લોકજાગૃતિના સંદેશો ફેલાવી રહ્યા છે, ઘરમાં રહો સુરક્ષિત રહો ના સંદેશ સાથે અનેક ગાયક કલાકારોએ ગીત બનાવ્યા છે, ત્યારે પોરબંદરના ચિત્રકાર કરશનભાઇ ઓડેદરાએ પેન્સિલ દ્વારા ચિત્ર દોરી કોરોના રોગ પ્રત્યે અને લોકડાઉનમાં માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ સાથે અનેક ચિત્ર બનાવ્યા છે.
ચિત્રકાર કરશનભાઇ ઓડેદરાને બાળપણથી ચિત્ર દોરવાનો શોખ હતો અને વર્તમાનમાં તેઓ ઇનોવેટિવ ગ્રુપ ઓફ પોરબંદર સાથે સંકળાયેલા છે, જેના ગ્રુપ દ્વારા દર શનિવારે નટવરસિંહજી આર્ટ ગેલેરી પોરબંદર ખાતે વિનામૂલ્યે ચિત્રકામ શીખવાડાઈ રહ્યું છે.
આ ઉપરાંત તેઓ મહેર આર્ટ પરિવાર સાથે પણ સંકળાયેલા છે, જેમાં મહેર સંસ્કૃતિની ઝાંખી કરાવતા અનેક ચિત્રો કરશનભાઇ ઓડેદરાએ દોરેલા છે. લોકડાઉનના દિવસો દરમિયાન ઘરે રહી ચિત્રોના માધ્યમથી પણ કોરોના વાઇરસ પ્રત્યે જાગૃતિ લોકોમાં આવે અને લોકો માસ્ક અને સેનીટાઇઝરનો ઉપયોગ કરે અને ઘરમાં રહી બાળકોને ચિત્રો દોરવાની પ્રેરણા આપે તેવી વિનંતી કરશનભાઇ ઓડેદરાએ કરી હતી.