પોરબંદરમાં વહીવટી તંત્ર એક્શનમાં, ટ્યુશન ક્લાસીસમાં તપાસ શરૂ
પોરબંદરઃ સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં બનેલી આગની ઘટના બાદ પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. કલેક્ટર દ્વારા આદેશ આપ્યા બાદ નગરપાલિકા અધિકારી PGVCL અધિકારી અને શિક્ષણ અધિકારી સહિત પોલીસની ટીમ સાથે પોરબંદર શહેરના તમામ બહુમાળી બિલ્ડીંગોમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જરૂર લગતા સંચાલકો સામે નોટિસ પણ ફટકારવામાં આવી છે.
પોરબંદરમાં શનિવારે સવારે 11:00 વાગ્યાથી જ આ ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. જેમાં એમજી રોડ પર આવેલા તમામ ક્લાસીસોમાં તપાસ હાથ ધરાઇ છે. સ્ટાર કોમ્પ્લેક્ષમાં આવેલા કોટેચા ક્લાસીસ તથા આલ્ફા ક્લાસીસમાં ફાયર સેફ્ટીના નિયમો ન જળવાતા તેમને બંધ કરાવી ત્રણ દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ ટીમ પોરબંદરમાં આવેલા એન.પી.જી કોમ્પ્યુટરમાં પણ તપાસ હાથ ધરી હતી અને તમામ ફાયર સેફ્ટીના સાધનો અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં ફાયર અલાર્મ ન હોવાનું બહાર આવ્યું હતું. તેથી તેમને પણ નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે સંચાલક નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે ફાયર સેફ્ટી અંગેના ખૂટતા સાધનો નિયમિત મુદતમાં વસાવી લેશું.