પંચમહાલમાં પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય કક્ષાના યોગેશ પટેલે બેઠક યોજી
પંચમહાલ: અંતરિયાળ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે. રાજ્ય સરકાર પણ હવે હરકતમાં આવી છે, ગુજરાતના રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે બુધવારે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
ઉનાળાની શરૂઆતથી જ પંચમહાલના અંતરિયાળ ગામોમાં પાણીની સમસ્યાઓ સર્જાઈ છે, પંચમહાલ જીલ્લામાં 7 તાલુકામાં આવેલા છે, આ 7 તાલુકા પૈકી ગોધરા , ઘોઘંબા, મોરવા હડફ અને શહેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. પાણી માટે મહિલાઓ કિલોમીટરો સુધીની લાંબી સફર કાપીને પાણી લાવે છે .
પાણીના સ્થાનિક સ્ત્રોત જેવા કે, હેન્ડપંપ, કુવા અને તળાવોમાં પાણીના સ્તર નીચે ગયા છે, અને મોટાભાગના સ્ત્રોત તો સુકાઈ જ ગયા છે. સમગ્ર બાબતને લઈને રાજ્યકક્ષાના પ્રધાન યોગેશ પટેલે બુધવારે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક નેતાઓ સાથે જીલ્લાની પાણીની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. જીલ્લાની તમામ પરિસ્થિતિથી અવગત થયા હતા, જિલ્લાના 7 તાલુકામાં પાણીની સ્થિતિ બાબતે મોનીટરીંગ કરવા માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી હતી. ટીમો દ્વારા આગામી 4 દિવસમાં સમગ્ર બાબતનો અહેવાલ રજુ કરવામાં આવશે .