જિલ્લાના દક્ષિણ પંથકના ખેડૂતોની જીવાદોરી સમાન કરાડ સિંચાઇ યોજના હંમેશા વિવાદાસ્પદ રહી છે. ત્યારે કરાડ સિંચાઇ યોજના અંતર્ગત કેનલોના રખરખાવ અને સમારકામ બાબતે દર વર્ષે ખેડૂતોમાં અસંતોષ જોવા મળે છે. કરાડ સિંચાઇ યોજનાને લઈને આ વખતે વધુ એક વાર વિવાદ ઊભો થયો છે. જેમાં ખેડૂતો સીધા જ લડતના મૂળમાં જોવા મળી રહ્યા છે . હાલમાં કરાડ સિંચાઇ યોજનામાં નહેરોની સમારકામનું કામ ચાલી રહ્યું છે. જે કામ દર વર્ષની જેમ જ ગુણવત્તા વગરનું હોવાનું માલૂમ પડતાં ખેડૂતોએ જનતા રેડ કરીને હલ્લાબોલ કરી હલકી ગુણવત્તાની બાંધકામની કામગીરી અટકાવી દીધી હતી.
આ કરાડ સિંચાઇ યોજના દ્વારા કાલોલ અને ઘોઘંબા તાલુકાના ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે. આ બંને તાલુકાના ખેડૂતોને પાક લેવા માટે એક માત્ર કરાડ સિંચાઇ યોજનાના પાણી પર આશ્રિત રહેવું પડે છે. અંદાજિત 25 કિમી લાંબી આ નહેર 6100 હેક્ટર ખેતીની જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડતી હોવાથી ખુબ જ મહત્વની યોજના છે. પરંતુ કરાડ સિંચાઇ યોજનાની નહેરોની બિસ્માર હાલતને લીધે ખેડૂતોને આપવામાં આવતા પાણીનો મોટો જથ્થો વેડફાઇ જતો હોય તેવી ફરિયાદો ઉઠતી હોય છે. દર વર્ષે કરાડ યોજનાની નહેરોનું સમારકામ કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ નહેરોની બિસ્માર હાલતનું કારણ જણાવી અનેકવાર સિંચાઇ અધિકારીઓએ નહેરોમાં પાણી છોડવામાં આવતું નથી. જેથી નહેરોના સમારકામમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ખેડૂતો કરતાં હોય છે.