ગુજરાત

gujarat

નવસારીની ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો

By

Published : Apr 15, 2021, 10:10 AM IST

Updated : Apr 15, 2021, 12:15 PM IST

નવસારી જિલ્લામાં છેલ્લા એક મહિનામાં કોરોનાની સ્થિતિ વણસી છે. આ પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ખાનગી હોસ્પિટલો દ્વારા સમયે ઓક્સિજનનો પૂરવઠો પુરો પાડવા તંત્રને વારંવાર રજૂઆતો કરાઇ છે. રજૂઆતો પછી પણ ઓક્સિજન ન મળતા આજે મીડિયા સામે ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. સાથે જ તંત્ર દ્વારા ઓક્સિજન મેળવવામાં સહયોગ ન મળે તો નવા કોરોના દર્દીઓને હોસ્પિટલમાં એડમિટ કરવા સક્ષમ ન હોવાનું જણાવ્યું હતુ.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો

  • કોરોના કાળમાં માનવ માટે જરૂરી કૃત્રિમ ઓક્સિજન મળવો મુશ્કેલ
  • ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનના પ્રતિદિન અંદાજે 3,000 રૂપિયા ચાર્જ લેવાય
  • હોસ્પિટલોમાં બેથી ચાર કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો પૂરવઠો

નવસારી :કુદરતી રીતે પ્રાપ્ય ઓક્સિજન માટે એક પણ રૂપિયો આપવો પડતો નથી. પરંતુ કોરોના કાળમાં માનવ માટે જરૂરી કૃત્રિમ ઓક્સિજન મેળવવું મુશ્કેલ થયું છે. નવસારીની ખાનગી હોસ્પિટલોમાં દર્દી પાસે ઓક્સિજનના પ્રતિદિન અંદાજે 3,000 રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. તેમ છતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દર્દીને ઓક્સિજન મળવો મુશ્કેલ થયો છે.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
  • 11 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી

નવસારીમાં સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લાની 11 ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. કોરોના દર્દીના ફેફસા ઉપર વાર કરતો હોવાથી જો કોરોનાની વધુ અસર હોય તો દર્દીને ઓક્સિજનની જરૂર પડે છે. જેમાં 2 લિટરથી 48 લિટર સુધી અને જો વધુ અસર હોય તો દર્દીને વેન્ટિલેટર પર પણ રાખવા પડે છે.

આ પણ વાંચો : ખેડા જિલ્લામાં ઓક્સિજન બેડ તથા રેમડેસીવીરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ : કલેક્ટર

  • હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા કુલ 478 દર્દીઓ ઓક્સિજન હેઠળ

નવસારી શહેર સહિત જિલ્લાની હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા કુલ 478 દર્દીઓ ઓક્સિજન હેઠળ છે. આ હોસ્પિટલોમાં આજે બેથી ચાર કલાક ચાલે એટલો જ ઓક્સિજનનો પૂરવઠો છે. જિલ્લાતંત્રમાં વારંવારની રજૂઆતો પછી પણ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો સમય પર ન મળતા આજે મીડિયા સમક્ષ સંચાલકોએ હૈયા વરાળ ઠાલવી હતી.

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
  • જિલ્લાની 11 હોસ્પિટલોમાં ઓક્સિજન હેઠળ સારવાર લઇ રહેલા દર્દીઓની આંકડાકીય માહિતી
હોસ્પિટલ ઓક્સિજન હેઠળ રહેલા દર્દીઓની સંખ્યા
ઓરેન્જ 75
શ્રદ્ધા 59
સ્પંદન 56
લાયન્સ 55
દમણિયા 42
મુલ્લા 38
સુશ્રુષા 35
યુનિટી 25
ગોહિલ 23
કેજલ 21
સરદાર પટેલ 20
આલીપોર 19
  • ઓક્સિજન પૂરવઠો પુરો પાડતી એજન્સીઓમાં ફરવું પડે
ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો


સંચાલકોએ જણાવ્યુ કે, નવસારીના પડોશી જિલ્લા સુરત અને વલસાડમાં ઓક્સિજન લેવા માટે જતા હોસ્પિટલના કર્મચારીઓને 6થી 10 કલાક સુધી વેઇટિંગમાં ઉભુ રહેવું પડે છે. જેમાં પણ આ બન્ને જિલ્લાઓ પોતાની ઓક્સિજનની જરૂરિયાતને પ્રાથમિકતા આપે છે. જેને કારણે નવસારીની હોસ્પિટલોને ઓક્સિજન પૂરવઠો પુરો પાડતી એજન્સીઓમાં ફરવું પડે છે.

આ પણ વાંચો : એર લિફ્ટ કરીને 10,000 રેમડેસીવીર ઇન્જેક્શન સુરત પહોંચાડાશે

ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનનો જથ્થો ખૂટી પડ્યો
  • 2,400 ઓક્સિજનના બોટલની જરૂર સામે 1200થી 1400 ઓક્સિજનના બાટલા

નવસારી જિલ્લાની ખાનગી હોસ્પિટલોને દિવસમાં 2,400 ઓક્સિજન બોટલોની જરૂર છે. પરંતુ એની સામે જેમ-તેમ કરીને 1200થી 1400 ઓક્સિજનના બાટલા મળે છે. જેના કારણે કોરોનામાં ગંભીર દર્દીઓને પૂરતો ઓક્સિજન મળતો નથી અને એમનો જીવ જવાની પણ ભીતિ રહે છે.

  • ઓક્સિજન પાંચ મિનિટ પણ મોડો મળે તો દર્દીનો જીવ જવાની સંભાવના

તંત્રની કાર્યવાહીથી અકળાયેલા હોસ્પિટલના સંચાલકોએ આજે મીડિયા સમક્ષ પોતાની વ્યથા અને બળાપો કાઢયો હતો. તેમણે જણાવ્યું કે, કોરોનામાં ઓક્સિજન સૌથી મહત્વનો છે. એ જો સમયે ન મળી રહે તો દર્દીની સારવાર મુશ્કેલ થઈ પડે છે. એક સમયે રેમડીસીવીર ઇન્જેક્શન ન મળે તો ચાલી જશે. પરંતુ ઓક્સિજન પાંચ મિનિટ પણ મોડો મળે તો દર્દીનો જીવ જવાની સંભાવના વધી જાય છે. જેથી જિલ્લાતંત્ર પડોશના જિલ્લાઓ સાથે સંકલન સાધી નવસારીની ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો સમય પર મળી રહે એવી વ્યવસ્થા ગોઠવે એવી માંગ કરી હતી.

  • તંત્રના પૂરવઠા અધિકારી ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા મદદરૂપ થઈ રહ્યા

તંત્રના પૂરવઠા અધિકારી વિશાલ યાદવ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા મદદરૂપ થઈ રહ્યા હોવાનું સંચાલકોએ જણાવ્યું હતુ. પરંતુ એમની પણ મર્યાદા આવી જતી હોવાથી હોસ્પિટલ સંચાલકો કલેક્ટર પાસે આશા સેવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે, નવસારી જિલ્લા કલેક્ટર ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો પૂરવઠો સમય પર મળી રહે એ માટે પડોશના જિલ્લા કલેક્ટરો સાથે સંકલન સાધી શું વ્યવસ્થા કરે છે.

Last Updated : Apr 15, 2021, 12:15 PM IST

ABOUT THE AUTHOR

...view details