લૂણાવાડા: ગત રાત્રે પડેલાં વરસાદથી ખેડૂતો દ્વારા પશુઓ માટે તૈયાર કરવામાં આવેલા ઘાસચારાને તેમ જ મગના ઉભા પાકને નુકસાન થયું છે. તો બીજીતરફ મહીસાગર જિલ્લાના મુખ્ય પાક ડાંગર માટેના જરૂરી ધરુ
માટે આ વરસાદ ફાયદાકારક રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો
સત્તાવાર ચોમાસાની શરૂઆત થવાની હજી વાર છે, ત્યારે ગત રાત્રિએ સમગ્ર મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસવાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજીતરફ ખેડૂતો માટે આ વરસાદ કેટલાકને નુકસાનકારક તો કેટલાક માટે લાભદાયક રહ્યો છે.
સમગ્ર મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તેમાં મુખ્યમથક લૂણાવાડા તાલુકામાં સૌથી વધારે 43 મિમિ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં સંતરામપુરમાં 30 મિમિ, વીરપુરમાં 17 મિમિ, કડાણામાં 15 મિમિ જ્યારે ખાનપુર અને બાલાસિનોર તાલુકામાં 10 મિમિ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે હજી સત્તાવાર ચોમાસાની શરૂઆત થવાની વાર છે ત્યારે પડેલ આ વરસાદ કેટલાક ખેડૂતો માટે નુકસાનકારક તો કેટલાક ખેડૂતો માટે લાભદાયક રહ્યો છે.