સંતરામપુરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન વીજ કરંટ લાગતા બે વિદ્યાર્થીઓના મોત
મહીસાગરઃ જિલ્લાના સંતરામપુર તાલુકામાં સ્વતંત્રતા દિનની ઉજવણીમાં એક દુઃખદ ઘટના બની હતી. ધ્વજારોહણના કાર્યક્રમની તૈયારી દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓને વીજકરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આજે સંતરામપુરમાં આવેલી કેનપુર પ્રાથમિક શાળામાં ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ-10માં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ ધ્વજ ફરકાવવા માટે લોખંડનો પાઈપ ઉભો કરી રહ્યાં હતા. આ લોખંડની પાઈપમાં વીજળીનો વાયર સંપર્કમાં આવી ગયો હતો. જે વીજ કરંટ પાઈપમાં ઉતરતા બંને વિદ્યાર્થીઓને કરંટ લાગ્યો હતો. જ્યાં ઘટના સ્થળ પર જ બંનેનું મોત નિપજ્યું હતું. મૃત્યુ પામનાર બંને વિદ્યાર્થીઓમાં દિપક અભેસિંહ રાણા અને ગણપત નાથાભાઈ વાળવાઈ બંનેની ઉંમર 15 વર્ષ હતી. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પોલીસે ઘટના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.