ભૂજઃ એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ ઉનાળો આ બે તરફી મુશ્કેલ ભરી સ્થિતિમાં કચ્છની ગૌશાળા પાંજરાપોળની સ્થિતિ કફોડી બની રહી છે. ત્યારે કચ્છના ઉદ્યોગોની સામાજિક જવાબદારીના ફંડમાંથી પશુધન નિભાવ કરવા અને આગામી જુલાઇ માસ સુધી પશુધન સબસીડી આપવાની માંગ થઇ રહી છે, જો મદદ નહીં મળે તો કચ્છની 177 પાંજરાપોળ ગૌશાળાને દોઢ લાખ પશુઓને છોડી મૂકવાની ફરજ પડી શકે તેમ છે.
કચ્છમાં ગૌશાળા અને પાંજરાપોળની હાલત કફોડી અખિલ કચ્છ ગૌશાળા અને પાંજરાપોળ સંઘના ભરત સોંદરવાભાઈએ વિગતો આપતા જણાવ્યું હતું કે, આ સ્થિતિ અંગે રાજ્યના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. કચ્છની પાંજરાપોળમાં ઉનાળામાં પાણી અને ઘાસચારાની સમસ્યા ઉદ્ભવે છે. આ સ્થિતિમાં કચ્છ અને કચ્છ બહાર રહેતા દાતાઓનો સહયોગ મળતો રહે છે અને જેમતેમ નિભાવ થઈ જાય છે. બીજી તરફ સરકારે એપ્રિલ અને મે માસમાં પશુ દીઠ 25 રૂપિયાની સબસીડી આપી છે, પણ જૂન અને જુલાઈ માસમાં નિભાવ કેમ કરવો એ પ્રશ્ન છે. કારણ કે દાન મળતું નથી, સરકારની સબસીડી નથી, ઘાસચારો મોંઘો થઈ ગયો છે, પાણીની પણ સમસ્યા છે તો હવે પાંજરાપોળમાં નિભાવ માટે સરકાર પર જ આધાર રાખવો પડે તેમ છે. સંસ્થાએ આ બાબતે રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરીને કચ્છના ઉદ્યોગોના સામાજિક જવાબદારીના ફંડને ગૌશાળા પાંજરાપોળમાં આપવાની માંગ કરી છે. આ માટે કચ્છ કલેક્ટરના અધ્યક્ષસ્થાને પશુધન બચાવ સમિતિ બનાવીને આ ફંડ તેમાં આપવાની માગ કરાઇ છે. આ સાથે આગામી બે માસ માટે પણ પશુ સબસીડી ચાલુ કરવાની માંગ કરવામાં આવી છે. સંચાલકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, જો કોઈ મદદ નહીં મળે તો પાંજરાપોળના દરવાજા ખોલીને પશુઓને ખુલ્લા મૂકી દેવા પડશે.