જામનગર લોકસભા કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઇ કંડોરીયા અને કોંગ્રેસની ટીમ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પ્રવાસ કરીને લોક સમર્થન મેળવવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ એક થઈને પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે, ત્યારે જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના નેતા અને ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમ પણ મુળુભાઈ કંડોરીયાને જીતાડવા માટે દિવસ-રાત એક કરીને લોકસંપર્કમાં લાગી ગયા છે.
દ્વારકાના કોંગી ઉમેદવારે શરુ કર્યો 'ડોર ટુ ડોર' પ્રચાર
જામનગર: લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયા ગ્રામ્ય વિસ્તારો બાદ શહેરી વિસ્તારમાં પણ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. શહેરી જનતા પુનરાવર્તન નહીં, પરંતુ પરિવર્તન ઝંખતી હોવાનું જણાવી તેમણે ઉમેર્યું હતું કે, જનસંપર્ક દરમિયાન વેપારીઓ નોટબંધી અને જીએસટી અંગે વ્યથા ઠાલવી છે.
ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશભાઈ અમેથિયા, જામનગરના પ્રભારી જશવંતસિંહ ભટ્ટી, સંજયભાઈ કાંબરીયા, અશોકભાઈ ત્રિવેદી, લલીતભાઈ પટેલ, એ.કે.મહેતા સહિતના કોંગ્રેસના આગેવાનો અને જામનગર શહેરમાં ડોર ટુ ડોર પ્રચાર કરીને કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવા અને કોંગ્રેસને શા માટે મત આપશો તેવી પોતાની વાત રજૂ કરી પ્રચાર અભિયાનને તેજ કર્યું છે.
ધારાસભ્ય વિક્રમભાઈ માડમ અને કોંગ્રેસની ટીમએ જામનગરના વિવિધ વિસ્તારોમાં લોકસંપર્ક હાથ ધર્યો હતો અને કોંગ્રેસના આ લોકસંપર્કના અભિયાનને સારો એવો પ્રતિસાદ મળ્યો જેમાં વેપારી વર્તુળોમાંથી આવકાર જોવા મળ્યો છે, જે રીતે વેપારીઓ જીએસટીને લઈને પરેશાન થઈ રહ્યા છે. તેનો બળાપો પણ કોંગ્રેસના આગેવાનો સમક્ષ ઠાલવીને પરિવર્તન કરવાની વાત પર ભાર મૂક્યો હતો.