ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે મન મુકીને ખૈલેયાઓ ઝૂમશે, નવરાત્રી વેકેશન યથાવત...

ગાંધીનગરઃ રાજ્યમાં ગત વર્ષે શૈક્ષણિક સંસ્થાઓને નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રાત્રિ દરમિયાન શક્તિની આરાધના કરી શકે તે માટે વેકેશન આપવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ તાજેતરમાં શિક્ષણ બોર્ડના સભ્યો અને અધિકારીઓની મળેલી બેઠકમાં વેકેશન રદ કરવા બાબતે નિર્ણય લીધો હતો. શાળા સંચાલકોને નવરાત્રી વેકેશન આપવામાં આવતું હોવાના કારણે અભ્યાસક્રમ અધૂરો રહી જાય છે. તેવું કારણ પણ આપવામાં આવ્યું હતું. આ બાબતે સભ્યોની સમિતિમાં નિર્ણય કર્યા બાદ શિક્ષણપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નવરાત્રિ વેકેશનને યથાવત રાખવામાં આવ્યું છે, જેને લઇને દિવાળી વેકેશનની નવી તારીખ પણ જાહેર કરાઈ છે.

By

Published : May 28, 2019, 8:57 PM IST

Updated : May 29, 2019, 11:51 AM IST

રાજ્યમાં નવરાત્રી વેકેશન યથાવત રહેતા, દિવાળીની વેકેશનની નવી તારીખ થઈ જાહેર

સરકારે જાહેર કર્યું છે કે, વર્ષ 2018-19 ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં નવરાત્રી વેકેશન આપવામાં આવ્યું હતું. જે ચાલુ વર્ષ 2019-20ના શૈક્ષણિક કેલેન્ડર વર્ષમાં પણ આપવામાં આવશે. રાજ્ય સરકારે યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ નવરાત્રી વેકેશનની મંજૂરી આપી છે. આ નિર્ણય રાજ્યની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળા ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને લાગુ પડશે. જ્યારે ચાલુ વર્ષે નવરાત્રી વેકેશન 30 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર દરમિયાન આપવામાં આવશે.

નવરાત્રી વેકેશનને લઈને ગૂંચવણ ઊભી થઈ હતી જેના પરિણામે વેકેશન યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવતાં દિવાળી વેકેશન તારીખ નક્કી કરવામાં આવી છે. 8 દિવસનું નવરાત્રી વેકેશન રહેશે, જ્યારે 25 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન 13 દિવસ દિવાળી વેકેશન આપવામાં આવશે. શાળા સંચાલકો દ્વારા વેકેશન રદ કરવાની માગ કરવામાં આવી હતી. પરંતુ સરકાર દ્વારા આ માગનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને દિવાળી તથા નવરાત્રી બંને વેકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવશે. આ બંને વેકેશનના દિવસો થઈને કુલ 21 દિવસનું રહેશે.

Last Updated : May 29, 2019, 11:51 AM IST

ABOUT THE AUTHOR

...view details