ગુજરાત

gujarat

By

Published : Aug 10, 2020, 6:39 PM IST

ETV Bharat / state

આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી, CM રૂપાણીએ ગીરના DFO- RFO- ગાર્ડ સાથે કર્યો સંવાદ

આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર જંગલના DFO, RFO અને બીડ ગાર્ડ સાથે સંવાદ કર્યો હતો.

સિંહ
સિંહ

ગાંધીનગર : સમગ્ર એશિયામાં એકમાત્ર ગુજરાતમાં વસતા એશિયાટિક લાયનના સંવર્ધન અને તેના વારસાના જતન માટે રાજ્ય સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે. ગુજરાતમાં સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, જે ગુજરાત સરકારની ગીરના સિંહોના સંવર્ધન અને સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે, તેમ આજે તારીખ 10મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર જંગલના DFO, RFO અને બીડ ગાર્ડ સાથે સંવાદ કર્યો હતો.

CM રૂપાણી

સમગ્ર વિશ્વમાં તારીખ 10 મી ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે સીએમ વિજય રૂપાણી દ્વારા ગાંધીનગર ખાતેથી આજે CM ડેશબોર્ડના માધ્યમથી ગીર જંગલના DFO-બીડ ગાર્ડ સાથે એશિયાટિક લાયન અંગે તલસ્પર્શી સંવાદ યોજ્યો હતો.

કર્મયોગીઓ સાથે સંવાદ કરતા સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર એશિયા ખંડમાં એશિયાઇ સિંહોને સૌથી વધુ વસતી સાસણ ગીર એટલે કે ગુજરાતમાં જોવા મળે છે. વિશ્વમાં ગુજરાત એશિયાઈ સિંહો માટે પ્રસિદ્ધ છે. આપણે સૌએ સાથે મળીને એશિયાઈ સિંહોના જતન, સંવર્ધન અને સુરક્ષા કરીને એશિયાઇ સિંહોના વારસાને જાળવી રાખીને આગળ વધારવાનો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં સિંહોમાં કોઈ પ્રકારના રોગચાળો ન ફેલાય તે માટે સઘન વ્યવસ્થા ઊભી કરીને સિંહોનું જતન કરવું પડશે. મુખ્યમંત્રીશ્રીએ આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ નિમિત્તે ગીર જંગલમાં દિવસ-રાત સિંહોનું રક્ષણ કરતા DFO, RFO અને બીડ ગાર્ડને અભિનંદન આપીને શુભેચ્છાઓ આપી હતી.

સંવાદમાં સાસણ ગીરના DFO ડૉ. મોહનરાયે માહિતી આપતાં જણાવ્યું હતું કે, દર વર્ષે 10મી ઓગસ્ટ એટલે કે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસના રોજ લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાસણ ગીર ખાતે વિવિધ કાર્યક્રમોના માધ્યમથી આ ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસની ઉજવણી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવી છે. જેમાં ગુજરાત, ભારત અને આફ્રિકા સહિત વિવિધ દેશોના એશિયાઈ લાયન પ્રેમી સમર્થકો જોડાયા હતા. એશિયાટીક લાયન એટલે કે સિંહો અમારો પરિવાર છે તેના સંવર્ધન માટે અમે સતત પ્રયત્નશીલ છીએ. ચોમાસાની ઋતુમાં રોગચાળો ન ફેલાય તે માટે તજજ્ઞ ડોક્ટરોની ટીમ અને વિવિધ સ્થળ ઉપર રેસ્ક્યુ સેન્ટર શરૂ કરીને સતત સિંહ ઉપર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details