બનાવની પ્રથમ વિગત અનુસાર, સિંહોર નજીક આવેલા ઘાંઘળી ગામમાં ખાર વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા સંજયભાઈ બીજલભાઈ પરમાર પરિવારના સભ્યો સાથે પોતાના ઘરે સુતા હતા, ત્યારે મોડી રાત્રે લૂંટના ઇરાદે ચાર અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશ્યા હતા. જેમાં સૌપ્રથમ અજાણ્યા શખ્સોએ સંજયભાઇના પત્ની રાધાબેનને તેમની સાડી વડે બાંધી બંધક બનાવ્યા હતા અને તેમની નજર સામે જ તેમના પતિ સંજયભાઇ પર અજાણ્યા લૂંટારૂઓએ માથાના ભાગે ધારીયા, ભાલા તથા ધોકા વડે પ્રહાર કરી જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
જ્યારે અજાણ્યા લૂંટારૂઓએ ઘરમાં રાખેલા રૂપિયા 85 હજારની કિંમતના સોના અને ચાંદીના દાગીના લૂંટી મૃત્તકના પત્નીને પણ ઇજાઓ પહોંચાડી તેણીને અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા.
24 કલાકમાં બે હત્યાના બનાવો આ બનાવની જાણ થતા સિંહોર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતક સંજયભાઈના મૃતદેહને પીસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવના પગલે મૃતકના પત્ની રાધાબેનને ચાર અજાણ્યા લૂંટારૂઓએ સામે તેના પતિની હત્યા કરી સોના ચાંદીના ઘરેણા લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી તરફ બુધવારે રાત્રે ભાવનગર નજીકના સિદસર ગામે એક હત્યાની ધટના બની હતી, ભાવનગર નજીકના ભીકડા ગામે રહેતા યોગીરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને મોડી રાત્રે સીદસરમાં રહેતા તેના સસરા નરેશભાઈ ઝાંઝમેરા સાથે તેના પાડોશમાં રહેતો શખ્સ માથાકૂટ કરતો હોય તેને સમજાવવા માટે સસરાએ જમાઈને ફોન કરીને સિદસર બોલાવ્યા હતા. જમાઇ યોગીરાજસિંહ તેના સસરા સાથે માથાકૂટ કરતા શખ્સને સમજાવે તે પૂર્વે જ શખ્સે તેની છાતી પર છરી વડે જીવલેણ હુમલો કરતા તેનું મોત નિપજ્યું હતુ. 24 કલાકમાં જ ફરી હત્યાનો બનાવ બનતા પોલીસેમાં દોડધામ મચી હતી અને પોલીસે આ અંગે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે ભાવનગરમાં ગુન્હાખોરીનું પ્રમાણ વધ્યુ છે અને લોકસભા ચૂંટણી પૂર્ણ થયાના 24 કલાકમાં જ એક સાથે બે હત્યાના બનાવો બનતા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા માત્ર કાગળ પર જ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.