ગુજરાત

gujarat

By

Published : May 28, 2020, 12:34 PM IST

ETV Bharat / state

આણંદ જિલ્લામાં કોરોનાથી સ્વસ્થ થનારા દર્દીઓની ટકાવારી 81.25 થઈ

આણંદ જિલ્લામાં કોરોના વાયરસને અટકાવવા માટે તંત્ર દ્વારા સરકારની ગાઇડલાઇન અને તકેદારીના વિવિધ પગલાં હાથ ધર્યા હતા. જેમાં કુલ 1,994 સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાંથી 96 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. અન્ય 1,898 સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. જેમાંથી 78 દર્દીઓ ને સ્વથ થતા રજા આપવામાં આવી હતી. તો 10 દર્દીઓનું મોત પણ નીપજ્યું હતું.

આણંદ જિલ્લામાં 81.25 ટકા દર્દી થયા સ્વસ્થ
આણંદ જિલ્લામાં 81.25 ટકા દર્દી થયા સ્વસ્થ

આણંદઃ જિલ્લામાં કોરોનાનો પ્રથમ કેસ 7એપ્રિલે નોંધાયો હતો. આણંદના પાધરીયા વિસ્તારની એન્ટરપ્રાઇઝ સોસાયટીમાં રહેતા અને પાલિકાના કર્મચારી મુખત્યાર પઠાણનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેના બે દિવસ બાદ તા.9 એપ્રિલે હાડગુડ ગામમાં એક અને તેના બીજા દિવસે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ ચારેય દર્દીઓને સારવાર પૂર્ણ કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં કોરોના હોટસ્પોટ બનેલા ખંભાત શહેરમાં કોરોનો પોઝિટિવનો પ્રથમ કેસ તા.11 એપ્રિલે અલીંગ વિસ્તારની મોતીવાલાની ખડકીમાં રહેતા સરોજબેન પટવાનો નોંધાયો હતો. જેના બીજા દિવસે આ વિસ્તારમાંથી વધુ બે પોઝિટિવ નોંધાયા હતા. દરમિયાન આંકલાવ તાલુકાના નવાખલ ગામે તા. 12 એપ્રિલે સલમાબેન ચૌહાણનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તા. 13 એપ્રિલે ખંભાતમાંથી વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ, પ્રથમ સાત દિવસમાં આણંદ, હાડગુડ, ખંભાત, નવાખલમાં 10 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા.

જેમાંથી 1નું મૃત્યુ થયું હતું અને અન્ય સ્વસ્થ બનતા હોસ્પિટલમાંથી રજા અપાઇ હતી.તા. 14 એપ્રિલના રોજ ખંભાતના કોલમપાડો વિસ્તારમાંથી સાગમટે 7 પોઝિટિવ નોંધાયા હતા. જેથી ખંભાતનો ચેપ અન્ય સ્થળોએ ન પ્રસરે તે માટે વહીવટીતંત્ર દ્વારા ખંભાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોન, અવરજવર પર પ્રતિબંધ લાદયા હતા. પરંતુ લોકલ સંક્રમણના કારણે બે દિવસ બાદ તા. 16 એપ્રિલે ખંભાતના દંતારવાડામાંથી સાગમટે 6 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી ગઇ હતી.

બીજી તરફ ખંભાતવાસીઓમાં પણ કોરોનાના વધતા પગપેસારાના કારણે ફફડાટ વ્યાપ્યો હતો. તા. 16મીએ ઉમરેઠમાં પોઝિટિવ કેસ નોંધાયો હતો. ત્યારબાદ તા. 17 એપ્રિલે ખંભાતમાં 1 અને ઉમરેઠમાં પ્રથમ પોઝિટિવ નોંધાયો હતો. તા. 18 એપ્રિલે ઉમરેઠના પોઝિટિવ દર્દીનું મોત થયું હતું. તા. 19મી એ ખંભાતમાં વધુ એક અને 20 મીએ પેટલાદ તાલુકાના ઇસરામામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ તારીખે ખંભાતના સારવાર હેઠળના પોઝિટિગ દર્દીનું મોત થયું હતું. તા.21એપ્રિલે ખંભાતમાં 4, પેટલાદમાં 1 અને ઉમરેઠમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો હતો. જેના બીજા દિવસે ઉમરેઠ અને ખંભાતમાં વધુ 2-2 કેસ નોંધાયા હતા.

તા. 23મીએ પેટલાદમાં નર્સનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. તા. 24મીએ ઉમરેઠમાં વધુ 3 અને ખંભાતમાં વઘુ 2 કેસ નોંધયા હતા. ત્યારબાદ તા. 25 એપ્રિલથી તા. 24 મે એટલે કે આશરે એક માસના સમયગાળામાં મોટાભાગના પોઝિટિવ કેસ ખંભાત શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી નોંધાયા હતા. જેમાં તા. 22 મેના રોજ ઉમરેઠ અને ત્રણોલમાં 1-1 તેમજ તા. 24 મેના રોજ સોજીત્રામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સમયગાળા દરમ્યાન 8 પોઝિટિવ દર્દીઓના મોત નીપજયા હતા.

આણંદ જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 96 કેસોમાંથી સારવાર બાદ સ્વસ્થ થયેલા 78 દર્દીઓને રજા અપાતા રીકવરી રેટ આશરે 81.25 ટકા થયો છે. જયારે કોરોનાથી 10 દર્દીઓના મૃત્યુથી મૃતાંક 9.6 ટકા નોંધાયો છે.

લોકડાઉનમાં છૂટછાટ દરમિયાન સતર્કતા અને સાવધાની જરુરી બને છે. ત્યારે લોકડાઉન 4 માં સવારે 8 થી બપોરે 4 કલાક દરમિયાન નિયત કરેલી દુકાનો ખોલવાની, અવરજવર સહિતની છૂટછાટ આપવામાં આવી છે. આણંદ જિલ્લામાં આણંદ, હાડગુડ, નવાખલ, ઉમરેઠ, ખંભાત, પેટલાદ, ત્રણોલ અને સોજીત્રામાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

તાજેતરમાં ત્રણોલ, સોજીત્રામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા આ બંને દર્દીઓ કેવી રીતે સંક્રમિત બન્યા તે દિશામાં મેડીકલ ટીમે તપાસ હાથ ધરી છે. જો કે છૂટછાટના સમયમાં શહેરી વિસ્તારોમાં ખરીદારી માટે ભારે ભીડભાડ ઉમટતી જોવા મળે છે. આ સંજોગોમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોએ તકેદારી દાખવવામાં નહીં આવે તો કોરોના સંક્રમણ વધશે, તેની ભીતિ પણ રહેલી છે. ત્યારે આવનારા સમયમાં સ્વયં શિસ્તમાં રહી જરૂરી તકેદારી રાખીશું તોજ સુરક્ષિત રહીશું. આ સમજી જાગૃત બનવાની જરૂર દેખાઈ રહી છે.

ABOUT THE AUTHOR

...view details