અમદાવાદ :લોકડાઉનમાં પોલીસ લોકો પાસે કડકપણે પાલન કરાવે છે. એટલું જ નહીં પણ લોકો માટે લોહી પણ રેડી દે છે. આ વાક્ય સાંભળીને કદાચ આપને અજુગતું લાગે પણ અમદાવાદમાં કંઇક આવી જ ઘટના સામે આવી છે. એસજી 2 ટ્રાફિકમાં ફરજ બજાવતા પ્રકાશ પરમારની લોકડાઉન દરમિયાન ફરજ મણિનગર ખાતે આવેલ ઝઘડિયા બ્રિજ પાસે હતી. તેના જ ભાગરૂપે લોક ડાઉન અમલ કરાવવા માટે પ્રકાશ પરમાર વાહનચાલકોને બહાર નીકળવા પાછળનું કારણ પૂછી રહ્યા હતા. ત્યારે ત્યાંથી એકટીવા લઈને નીકળેલા મનીષ દવે નામના વ્યક્તિને પણ પૂછપરછ માટે ઊભો રાખ્યો અને તેને TRB જવાનને આંખમાંથી આંસુ સાથે કહ્યું કે, મારી સાળીને કિડનીની બીમારી છે, લોહીની જરૂર છે. પણ તેમનું લોહી અનુકૂળ ના હોવાથી તે આપી શકતા નથી અને બ્લડ બેંકમા પણ સામે લોહી આપો તો જ લોહી આપે છે. આ શબ્દો સાંભળ્યા પછી ટ્રાફિક પોલીસના આ જવાનની ફરજ બહારની માનવતા અને TRB જવાને પ્રકાશભાઈને લોહી આપવાનું નક્કી કર્યું.