અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ડીજીપી શિવાનંદ ઝા, શહેર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ સહીત અનેક ઉચ્ચ અધિકારીઓ વચ્ચે પોલીસ બંદોબસ્ત અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે, 22 કિમી લાંબી રથયાત્રામાં 25000 જેટલા પોલીસ કર્મી બંદોબસ્તમાં રહેશે. જેમાં પોલીસકર્મીથી લઈને ડીજીપી કક્ષાના અધિકારીઓ હાજર રહેશે. બંદોબસ્તમાં NSG કમાન્ડો, પેરા-મીલીટરી ફોર્સ, ક્વિક એક્શન ફ્રોસ, એસ.આર.પી. સહિતની અન્ય એજન્સીઓ પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત BDDS સ્ટાફ પણ બંદોબસ્તમાં રહેશે.
રથયાત્રાને લઈને ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ
અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે રાજ્યના ગૃહપ્રધાન અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને પોલીસ બંદોબસ્ત વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી. ગૃહપ્રધાને સમીક્ષા બેઠક બાદ રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યુ હતું.
રથયાત્રાના સમગ્ર રૂટમાં 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થાય છે. જેમાં 45 સ્થળો પર 94 કેમેરા અને 7 વ્હીકલ કેમેરા પણ રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેકનોલોજીની મદદથી પણ રથયાત્રા પર નજર રાખવામાં આવશે. રૂટ સિવાયના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ બંદોબસ્ત સાથે નજર રાખવામાં આવશે. ઉપરાંત 25 લાખ જેટલા ભાવિકો દર્શન કરવા આવશે તેમના માટે પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ગૃહપ્રધાને અગાઉ અખાડા, ભજન મંડળીઓ, ટ્રક એસોસીએશન સાથે સંકલન રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી..