ગાંધીનગરઃ પાંજરાપોળના સંચાલકોને કોરોના વૈશ્વિક મહામારીમાં પશુઓ માટે ઘાસચારા સહાય આપવા બાબતે પશુ પ્રત્યે જીવદયાની ભાવના રાખીને રાજ્યની તમામ રજીસ્ટર ગૌશાળા અને પાંજરાપોળોમાં પશુદીઠ પ્રતિદિન રૂપિયા 25 લેખે એપ્રિલ-મે, 2020 દરમિયાન કુલ 61.14 કરોડની સહાય ચૂકવાઇ છે.
ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા પર છોડી દેવાના પ્રશ્ન ઉપર ભુપેન્દ્રસિંહએ આપ્યો જવાબ
સોમવારના રોજ વિધાનસભા ખાતે ઉત્તર ગુજરાતમાં ગાયોને રસ્તા પર છોડી દેવા બાબતના ટૂંકી મુદ્દતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગૌ સંવર્ધન પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજ્યની રજીસ્ટર ગૌશાળાઓ અને પાંજરાપોળમાં માળખાગત સવલતોના નિર્માણ માટે 100 કરોડની જોગવાઈ કરાઈ છે.
જે પૈકી બનાસકાંઠાની ગૌશાળાઓ અને પાંજરાપોળને 10.4 કરોડની સહાય ચૂકવાઇ છે. ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની રજૂઆતને ધ્યાનમાં લઈને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આગામી ત્રણ મહિના સુધી આ સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આ માટે રૂપિયા 100 કરોડની સહાય ચુકવાશે. જે પૈકી બનાસકાંઠાના ગૌશાળા અને પાંજરાપોળ અને 16 કરોડ ચૂકવાશે.
આ ઉપરાંત સરકાર દ્વારા પશુઓની તાત્કાલિક સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ પણ શરૂ કરવામાં આવી છે. જો કે બનાસકાંઠાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતે ગૌશાળાના નામે ચાલતા ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.