ગુજરાત

gujarat

By

Published : May 22, 2020, 8:55 PM IST

ETV Bharat / city

કોઈ સગાંવ્હાલાં મૃતદેહ લેવા ન આવ્યાં, સિવિલ હોસ્પિટલના યોદ્ધાઓએ અંત્યેષ્ઠી કરી

કોરોના દર્દીઓની સારવાર અમદાવાદની સિવિલ હોસ્પિટલ સહિત શહેરની અને રાજ્યની અનેક હોસ્પિટલોમાં થાય છે. જો કે અન્ય બીમારી ધરાવતાં કેટલાક દર્દીઓના સારવાર દરમિયાન અવસાન પણ થાય છે. કેટલાક કિસ્સામાં અવસાન પામેલા દર્દીનો મૃતદેહ લઈ જવાની તસ્દી પણ કેટલાક પરિવારો કે સગાંવ્હાલાં લેતાં નથી. તેવા કિસ્સામાં હોસ્પિટલ તંત્ર દર્દીની અંત્યેષ્ઠી કરે છે.સિવિલ પરિસરની કીડની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા એક દર્દી વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી સિવિલના સેવક યોદ્ધાઓએ કરી માનવતાની મિસાલ પુરી પાડી છે.

કોઈ સગાંવ્હાલાં મૃતદેહ લેવા ન આવ્યાં, સિવિલ હોસ્પિટલના યોદ્ધાઓએ અંત્યેષ્ઠી કરી
કોઈ સગાંવ્હાલાં મૃતદેહ લેવા ન આવ્યાં, સિવિલ હોસ્પિટલના યોદ્ધાઓએ અંત્યેષ્ઠી કરી

અમદાવાદ: વાડીલાલ ગાંધી નામની વ્યક્તિનું ૧૯/૦૫/૨૦૨૦ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ૮૭ વર્ષીય વાડીલાલ ગાંધીના પરિવારજનોનો સંપર્ક થઈ શકતો ન હતો. પરિવારજનો ન આવે તો મૃતદેહ કોને આપવો તેની મૂંઝવણ હતી. મોડી રાત્રે તેમના દૂરના સગાં, સોસાયટીના સભ્યો અને તેમના ભાણીયા આવ્યાં અને કહેવા લાગ્યાં કે ‘જો દર્દીનો રીપોર્ટ નેગેટિવ આવે તો જ મૃતદેહ લઈ જઈએ’તેવી શરત મૂકી.

હોસ્પિટલના નિયામક ડો. વિનીત મિશ્રાએ અન્ય એક નંબર મેળવી સંપર્ક કર્યો તો ખબર પડી કે તે નંબર વાડીલાલ ગાંધીના દીકરા કિરીટભાઈ ગાંધીનો હતો. તેમને વાડીભાઈના અવસાનના સમાચાર આપી મૃતદેહ લઈ જવા જણાવ્યું તો કિરીટભાઈએ કહ્યું કે, ‘હું અને મારો આખો પરિવાર કોરોના પોઝિટિવ તરીકે ૧૨૦૦ બેડની હોસ્પિટલમાં દાખલ છીએ. મારા પિતાના અવસાનના સમાચાર તો મળ્યાં છે, પણ અમે લાચાર છીએ. હું પણ હોસ્પિટલમાં છું એટલે પિતાના અંતિમ સંસ્કાર કરી શકું તેમ નથી.

તંત્રએ કિરીટભાઈને કહ્યું કે જો કોઈ આવી શકે તેમ ન હોય અને તમે મંજૂરી આપો તો અમે તેમની અંત્યેષ્ઠી કરીએ. પરિવારની લેખિત મંજૂરી મેળવાઈ અને હોસ્પિટલના ડ્રાઈવર પ્રવીણસિંહ દરબાર, પરેશભાઈ સોલંકી, અન્ય ત્રણ સેવકોએ ભેગા થઈ પરિવારજનો બની મૃતદેહને સ્મશાને લઈ ગયાં. સ્મશાનમાંથી જવાબ મળ્યો કે, ‘મૃતદેહ નનામી પર બાંધેલો હોય તો જ ઈલેક્ટ્રીક મશીનમાં અંતિમક્રિયા કરી શકાશે.’ તરત જ નનામીનો તમામ સામાન હોસ્પિટલ દ્વારા ખરીદવામાં આવ્યો. અને સ્વ. વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી કરાઈ. એટલું જ નહી પરંતુ તેમના અસ્થિ ફૂલ પણ મેળવીને ચાણોદ ખાતે મોકલવા માટે કુંભમાં જમા કરાવ્યાં”.

આમ, હોસ્પિટલના સેવક યોદ્ધાઓએ પરિવાર બની સ્વ. વાડીલાલ ગાંધીની અંત્યેષ્ઠી કરી અને સ્વ. વાડીલાલ ગાંધીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો.

ABOUT THE AUTHOR

...view details