આ પડકારોની વાત કરતાં પહેલાં વીતેલા વર્ષ દરમિયાન દેશની વિકાસની ગતિ જાણી લેવી જરૂરી છે. જીડીપીનો વૃદ્ધિદર 2018-19ના પ્રથમ ક્વાર્ટરમાં 8.0% હતો, તે 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં ઘટીને 5.0% અને બીજા ક્વાર્ટરમાં ઘટીને માત્ર 4.5% રહી ગયો છે. WEFના અહેવાલમાં ભારત વિશ્વનું વિકાસ એન્જિન બની રહેશે અને વિકાસદર 2019માં અંદાજે 7.5% ટકા રહેશે એમ જણાવાયું હતું. તેની સામે હવે વર્ષ 2019-20માં જીડીપીનો વિકાસ 5% કરતાંય ઓછો રહેશે તેવી અપેક્ષા છે.
વૈશ્વિક પ્રવાહો ઉપરાંત ઘણા સ્થાનિક પરિબળો તેના માટે જવાબદાર છે. GSTને લગતા પ્રશ્નો, બેન્કોની 10 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચેલી NPA, નોન-બેન્કિંગ ફાઇન્શ્યલ કંપનીમાં મુશ્કેલી, સ્થગિત થઈ ગયેલી કૃષિ અને ગ્રામીણ આવક તેના માટે જવાબદાર છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે ભારતનું અર્થતંત્ર આઈસીયુમાં આવી ગયું છે. જોકે ગભરાવાની જરૂર નથી, કેમ કે અર્થતંત્રની ગતિ ધીમી પડી છે અને આ મંદી નથી. એકાદ વર્ષ પછી તેમાં ફરી ગતિ આવશે.
1 : સૌ પ્રથમ પડકાર કૌશલ્યવર્ધન અને રોજગારીનો છે, જેના આંકડાં જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે 2017-18માં બેરોજગારીનો દર વધી ગયો હતો. 2017-18ના NSSOના અહેવાલમાં જણાવ્યા અનુસાર દેશનો બેકારીનો દર 45 વર્ષની ઊંચી સપાટીએ 6.1% સુધી પહોંચ્યો હતો.
આ સમયગાળામાં આર્થિક પ્રવૃત્તિમાં સ્ત્રીઓનું પ્રમાણ ઘટ્યું. 2004-05માં તે 42% હતું, તે 2017-18માં ઘટીને માત્ર 22% રહી ગયું હતું. હજીય 85થી 90% ટકા કામદારો બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે. તેના કારણે સરકારે સંગઠિત ક્ષેત્રના વિસ્તરણ સાથે બિનસંગઠિત ક્ષેત્રની ઉત્પાદકતા વધારવી જરૂરી છે.
દુનિયામાં વૃદ્ધોની સંખ્યા વધી રહી છે, ત્યારે ભારતમાં વધતી વસતિ સાથે મોટી સંખ્યામાં શ્રમિકો ઉપલબ્ધ થશે. આ લોકોને શિક્ષણ, કૌશલ્ય અને રોજગારી આપી શકાય તો જ વસતિ વધારાનો લાભ મળે.
આવા ડેમોગ્રાફિક ડિવિડન્ટનું પ્રમાણ રાજ્યો પ્રમાણે અલગ અલગ છે. ઉત્તર ભારતમાં તે વધારે છે, દક્ષિણ ભારતમાં ઓછું. કામદારોમાં કુશળતાનો અભાવ છે તે જાણીતી વાત છે.
નીતિ આયોગ જણાવે છે કે માત્ર 2.3% ભારતીય કામદારોને પદ્ધતિસરની તાલીમ મળે છે, જ્યારે બીજા દેશોમાં તેનું પ્રમાણ 70થી 80% જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કૌશલ્યવર્ધનમાં ભારતમાં બહુ ધીમી પ્રગતિ થઈ રહી છે.
આ ક્ષેત્રમાં હાલમાં થોડું પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય કક્ષાએ તેના માટેનું સંસ્થાકીય માળખું તૈયાર કરાયું છે અને ખાનગી ઉદ્યોગોને તેમાં વધારે સામેલ કરાયા છે. રાજ્યોમાં પણ સ્કીલ ડેવલપમેન્ટ મિશન્સ શરૂ કરાઈ રહ્યા છે. કેન્દ્રના 17 મંત્રાલયોએ આ બાબતમાં પહેલ કરી છે. પ્રયાસો શરૂ થયા છે, પણ યોજનાના અસરકારક અમલ માટે ઘણું કરવાનું બાકી રહી છે અને તેમાં સંબંધિત સૌએ જોડાવું જરૂરી છે.
કૌશલ્યવર્ધનની બાબતમાં ચીનનું ઉદાહરણ ભારતને ઉપયોગી થાય તેવું છે. 1996માં વૉકેશનલ એજ્યુકેશન લૉ પસાર કરવામાં આવ્યો હતો તે ચીનમાં ટેક્નિકલ અને વ્યવસાયી તાલીમ પદ્ધતિ (ટેક્નિકલ એન્ડ વૉકેશનલ ઍજ્યુકેશન એન્ડ ટ્રેઇનિંગ-TVET) માટે બહુ ઉપયોગી સાબિત થયો હતો.
ચીનના અર્થતંત્રની કેટલીક આગવી બાબતો છે, જેના કારણે ચીન પ્રાદેશિક ધોરણે કૌશલ્યવર્ધન માટેના પ્રયાસો લાગુ કરી શક્યું હતું. આ કાયદા હેઠળ શિક્ષણ સાથે વ્યવસાયી તાલીમ અને ઔદ્યોગિક હેતુઓને સાંકળી લેવાયા હતા અને તેમાં સ્થાનિક કંપનીઓને ભાગીદાર બનાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ હેઠળ ગ્રામીણ વિસ્તારમાં વયસ્કોને તાલીમ તથા વ્યવસાયી શિક્ષણ આપવામાં આવ્યું. ઘણા દેશોમાં (જેમ કે ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની) કાયદાકીય રીતે વ્યવસાયી શિક્ષણ અને તાલીમની જોગવાઈ છે. ભારતમાં પણ આવો કાયદો કરીને કૌશલ્યવર્ધન માટેની સિસ્ટમ ઊભી કરવી જરૂરી છે. તેમાં કેન્દ્ર અને રાજ્યોની સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જોઈએ અને સાથે જ ઉદ્યોગો અને તાલીમ કેન્દ્રોને તેની સાથે જોડાવા જોઈએ.
દક્ષિણ કોરિયા જેવા દેશોએ ઉચ્ચ ગુણવત્તાના મૂળભૂત શિક્ષણ સાથે સ્કિલ ડેવલપમેન્ટને જોડ્યું છે. તે રીતે ભારતમાં પણ કુશળતા વધારવા પાયાનું ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું જરૂરી છે.
2 : બીજો પડકાર ગ્રામીણ વિસ્તારને સામાજિ-આર્થિક રીતે જોડવાનો છે. ગયા વર્ષે ગ્રામીણ વિસ્તારમાં આવક અને મજૂરી દર ઘટ્યા છે. ગ્રામીણ વિસ્તાર અને અર્ધશહેરી તથા શહેરી વિસ્તારો વચ્ચે ખાસ કરીને માળખાકીય તફાવત છે તે દૂર કરવાની જરૂર છે. ઇન્ટરનેટ અને નાણાકીય સુવિધાઓને પણ તેમાં સમાવી લેવી જરૂરી છે.
આગામી પાંચ વર્ષ દરમિયાન માળખાકીય સુવિધા માટે 100 લાખ કરોડ રૂપિયા ખર્ચવાની જાહેરાત થઈ છે તે આ સંદર્ભમાં અગત્યની છે. જોકે તેની વિગતો આવવાની હજી બાકી છે. સરકારે વધુમાં વધુ માળખાકીય ખર્ચ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં કરવો જોઈએ.
છેલ્લા થોડા વર્ષોમાં સરકારે (ઉજ્જવલા યોજના હેઠળ) એલપીજીના કનેક્શન, (સૌભાગ્ય યોજના હેઠળ) વીજળીના કનેક્શન, સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુવિધાઓ આપવાનું સારું કામ કર્યું છે. તેના કારણે ખાસ કરીને મહિલાઓને રાહત મળી છે.
2019ના બજેટમાં દરેક ઘરને 2022 સુધીમાં રાંધણ ગેસ અને વીજ જોડાણ આપવાનો વાયદો કરાયો હતો. આવતા બે વર્ષમાં તેમાં કેટલી પ્રગતિ થાય છે તે આપણે જોવાનું રહેશે.