મંદીના માર વચ્ચે સરકારને રાહત, RBI 1.76 લાખ કરોડ આપશે
નવી દિલ્હી: મંદીના માર વચ્ચે કેન્દ્ર સરકારને થોડી રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. RBI બોર્ડ ભારત સરકારને 1.76 લાખ કરોડ આપવા માટે રાજી થઈ ગયું છે. RBIના પૂર્વ ગવર્નર બિમલ જાલાન પેનલે સરકારને સરપ્લસ રિઝર્વને ભારત સરકારના ખાતામાં ટ્રાન્સફર કરવાની ભલામણ કરી છે. આ ભલામણ માટે પહેલા તો ઘણી રકઝક થઈ હતી પણ અંતે બધું ઠરીઠામ થઈ ગયું.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો RBI પાસે હાલ કોન્ટિજેંસી ફંડ, કરંસી તથા ગોલ્ડ રિવોલ્યૂએશન અકાઉન્ટમાં કુલ મળીને 9.2 લાખ કરોડની રિઝર્વ રકમ છે. જે કેન્દ્રીય બેંકની ટોટલ બેંલેસ શીટ સાઈઝની 25 ટકા છે. આ રકમમાંથી 1.76 લાખ કરોડ રુપિયા ભારત સરકારને આપવાનું નક્કી થયું છે.
RBI દ્વારા ચૂકાવાયેલા આ નાણામાંથી કેન્દ્ર સરકારને સાર્વજનિક દેવું તથા બેંકોમાં થાપણ જમા કરાવવામાં મદદ મળશે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પહેલા જ સરકારી બેંકોમાં 70 હજાર કરોડ રુપિયા જમા કરાવવાની જાહેરાત કરી છે. જેના લીધે બજારમાં 5 લાખ કરોડ આવવાની સંભાવના છે. સરકારે બજેટમાં રિઝર્વ બેંકમાં 90000 કરોડના ડિવિડેંડ ફંડની જાહેરાત કરી છે.