નવી દિલ્હીઃ દિલ્હી સ્થિત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે એફઆઈઆર નોંધી છે. આ કેસમાં ડ્રગ કનેક્શનને લઈને એફઆઈઆર કરવામાં આવી છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના સૂત્રોએ જણાવ્યું હતું કે, તેઓએ કલમ 20બી, 28 અને 29 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. એનસીબી આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને જેમની સામે પુરાવા મળશે તેની ધરપકડ કરવામાં આવશે.
NCBએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR નોંધી, ડ્રગ્સ કનેક્શનની દિશામાં તપાસ હાથ ધરાશે
સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન ડ્રગ્સનું કનેક્શન સામે આવ્યું છે. NCBએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.
મળતી માહિતી મુજબ સુશાંતસિંહ રાજપૂતનાં મોત મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી હતી. ત્યારે તથ્યો બહાર આવ્યા હતા કે, આ કેસમાં ડ્રગ્સ કનેક્શન છે. આને લગતી કેટલીક ચેટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને મળી હતી, જે પહેલા ડિલિટ કરવામાં આવી હતી. આ ચેટના આધારે ઈડીએ એક પત્ર લખીને સમગ્ર મામલા અંગે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોને માહિતી આપી હતી. આ આધાર બનાવીને હવે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે. સૂત્રો કહે છે કે, રિયા અને આ ચેટમાં સામેલ લોકો સામે એફઆઈઆર નોંધાઈ છે.
આ કેસની તપાસ દરમિયાન, ડ્રગ્સ કનેક્શનની તપાસ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા કરવામાં આવશે. આ માટે એનસીબીની ટીમ અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત કેટલાક લોકોની પૂછપરછ કરી શકે છે. આ પછી જ સ્પષ્ટ થશે કે ડ્રગ્સ કનેક્શન સાથે કોણ જોડાયેલું છે.