સદીઓ જૂની બીમારી ટીબી રોગ જેને "ક્ષય" તરીકે ઓળખવામાં આવે છે તે હજુ પણ દુનિયાનો સૌથી ઘાતક ચેપી રોગ છે. તેમાં વર્ષ 2018માં 4.5 લાખ લોકો ટીબીને કારણે જીવ ગુમાવી ચુક્યા છે. ભારત વિશ્વના 27% ક્ષય રોગનો હિસ્સો ધરાવે છે. ભારતની આરોગ્ય ક્ષેત્રની સ્થિતિને ધ્યાનમાં રાખીને જોતા આ લક્ષ્યાંક અવાસ્તવિક જણાય છે.
ભારતની તુલનામાં ચીન(9 ટકા), ઇન્ડોનેશિયા (8 ટકા) અને ફિલીપીંસ (6 ટકા)માં મૃત્યુની ટકાવારી પ્રમાણમાં ઓછી છે. હાલમાં જ જાહેર થયેલા ટીબી ઇંડિયા રિપોર્ટ 2019માં ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, દિલ્હી અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ રોગની ગંભીરતાનું વર્ણન કરવામાં આવ્યું છે. ગત વર્ષે તેલંગણામાં 52,000 નવા કેસની નોંધણી થઇ હતી. જોકે જાહેરખબરોમાં તો દાવા કરવામાં આવે છે કે ટીબી અંગેની જાગૃતિ માટે પર્યાપ્ત ધનરાશી અને સુવિધાઓ પ્રદાન કરવામાં આવે છે, પરંતુ આ રોગ જંગલની આગની જેમ ફેલાય રહ્યો છે.
જો ટીબીના રોગનું નિદાન વેળાસર થઇ જાય તો પ્રભાવિત 3 માંથી 1 વ્યક્તિની સારવાર થઇ શકે છે. જોકે ટીબીની દવાઓની સખત અછત છે. એક અનુમાન પ્રમાણે અવિકસિત દેશોમાં 80 ટકા દર્દી પોતાની કમાણીનો પાંચમો ભાગ આરોગ્ય સેવાઓ પર ખર્ચ કરે છે. એક તરફ તો રાષ્ટ્રીય રિપોર્ટના આંકડા દર્શાવે છે કે 74 ટકા ટીબી રોગીઓને હૉસ્પીટલમાં દાખલ કરવામાં આવે છે, જેમાંથી 81 ટકા દર્દીઓ સાજા થઇ જાય છે. તો બીજી તરફ લાખો લોકો દર વર્ષે આ રોગને કારણે જીવ ગુમાવે છે.
રાષ્ટ્રીય ટીબી નિયંત્રણ કાર્યક્રમ 1962માં શરૂ કરવામાં આવ્યો હતો. ભારતમાં ટીબીની નાબૂદી માટે આ કાર્યક્રમમાં અનેક વખત સંશોધન થયું. ડબ્લ્યૂએચઓ 2030 સુધીમાં ટીબીને વિશ્વમાંથી નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. એક આંતરરાષ્ટ્રીય વિશેષ સમિતિએ અંદાજ લગાવ્યો છે કે 2045 સુધીમાં પર્યાપ્ત ધનરાશિની ફાળવણીની સાથે જ તેનો યોગ્ય ઉપયોગ કરવાથી ટીબીના સૂપડા સાફ કરવા સંભવ છે. ટીબી જેવો રોગ ખૂબ જ ઝડપથી ફેલાય રહ્યો છે ત્યારે સરકારે તેના માટે માત્ર ચાર હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ ભંડોળમાં મફત દવાઓનું વિતરણ, સામાજિક પ્રોત્સાહન અને વિભિન્ન રાહત ઉપાયનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીની ગણતરી પ્રમાણે ટીબીના કારણે રાષ્ટ્રને 20,000 કરોડ રૂપિયાનું વાર્ષિક નુકસાન થાય છે. સરકારને થતું આ નુકસાન તો આ વિશાળ સમસ્યાનો માત્ર નાનો ભાગ છે, દર્દીઓના જીવના મૂલ્યનો તો કોઇ અંદાજ જ નથી.
જોકે આ રોગની રોકથામ અને નિયંત્રણમાં લેવા માટે બેવળી યોજનાને કાર્યાન્વીત કરવી પડશે, જેમાં તેની સારવારની સાથે જ મોટાપાયે વાયુ પ્રદુષણ અને અસ્વચ્છ સ્થિતિ પર કાબુ મેળવવા પર ભાર આપવો પડશે. યોગ્ય દિશામાં પગલા ભરીને ભારતને 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત બનાવી શકાશે.