ગુજરાત

gujarat

ETV Bharat / state

દેશના તમામ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની ગાંધીનગરમાં થશે કોન્ફરન્સ, અમિત શાહ કરશે ઉદ્ઘાટન

14 મું ઓલ ઇન્ડિયા નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડઝ કોન્ફરન્સ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ્ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.

અમતિ શાહ (File pic)
અમતિ શાહ (File pic) (ANI)

By ETV Bharat Gujarati Team

Published : 9 hours ago

ગાંધીનગર:દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ ફોર્સના વડાઓની 14મી નેશનલ કોન્ફરન્સનું આયોજન 22 અને 23 ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. આ એક ઐતિહાસિક ઘટના પણ છે કારણ કે, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ ફોર્સિસની આ મહત્વપૂર્ણ નેશનલ કોન્ફરન્સ 19 વર્ષ પછી યોજાવા જઈ રહી છે અને તે પણ પ્રથમ વખત ગુજરાતમાં અને પાટનગર ગાંધીનગરમાં.

આ બે દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ કરશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ કોન્ફરન્સમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રના ઘણા મહાનુભાવો પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આ બંને દળોના IAS, GAS, DG, ADG, IG, DIG, SP સહિત રેન્કના 60 થી વધુ વરિષ્ઠ અધિકારીઓ અને દળના 1200 થી વધુ માનદ સભ્યો ખાસ ભાગ લેવા આવશે.

ખાસ નીતિઓ અંગે કરવામાં આવશે ચર્ચા

ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો પ્રમાણે, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોના વડાઓની આ રાષ્ટ્રીય પરિષદમાં મુખ્યત્વે ડ્રાફ્ટ સિવિલ ડિફેન્સ એક્ટ-2024 અને મોડલ હોમગાર્ડ બિલ અને નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળોની નીતિઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. આપત્તિ વ્યવસ્થાપન કામગીરીના માર્ગો અને માધ્યમો ઉપરાંત દેશના તમામ રાજ્યોમાં આ બંને દળોની કામગીરીને ટેક્નોલોજી અને આધુનિકતાની મદદથી કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરવામાં આવશે. પોલીસ તંત્રને કેવી રીતે મદદ કરી શકાય અને વધુ મજબૂત, કાર્યક્ષમ અને અસરકારક બનાવી શકાય અને નાગરિક સંરક્ષણની સેવાઓને સુરક્ષિત કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી રીતે વધુ ચુસ્ત અને સારી બનાવી શકાય, તે સહિતના વિવિધ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા-સૂચનો, રજૂઆતો, મૂલ્યાંકન અને રૂપરેખાનું કાર્ય હાથ ધરાશે. હાલ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આશરે 450000 હોમગાર્ડ અને 600000 નાગરિક સંરક્ષણ દળના માનદ સભ્યો પોતાની સેવાઓ આપી રહ્યા છે.

તેમના રોજબરોજના વ્યસ્ત જીવનમાં તેમના મુખ્ય વ્યવસાય અથવા નોકરી ઉપરાંત, નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યો દળમાં અથાક સેવા આપીને ખરેખર દેશની પ્રશંસનીય સેવા કરી રહ્યા છે. જે ખરેખર ખૂબ જ આદર અને પ્રશંસાને પાત્ર છે.

કેટલીક જીવન રક્ષક તાલીમો પણ આપવામાં આવી

સરકારી વિભાગના જણાવ્યાનુસાર, કોવિડ-૧૯ ની વિશ્વવ્યાપી મહામારી જેવો કસોટીનો સમય હોય, તેમાં પણ નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યોએ ડર અને ખચકાટ વિના તેમની નિઃસ્વાર્થ સેવાઓ આપી છે જેણે સમાજમાં પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે. દેશના આ દળના તમામ સભ્યોને કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે તાલીમ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત, CPR પદ્ધતિ જેવી જીવન રક્ષક તાલીમ પણ તમામ સભ્યોને આપવામાં આવે છે જેના કારણે નાગરિક સંરક્ષણ અને હોમગાર્ડ દળના સભ્યોએ ખેડા-નડિયાદ જિલ્લામાં એક વ્યક્તિને CPR આપી તેનો જીવ બચાવવો. વધુમાં અમદાવાદ ખાતે દળના સભ્યોને પોતાની ફરજ દરમ્યાન એક લાવારીશ પર્સ (આશરે રૂ.40000 ના દાગીના) તથા રૂપિયા સાથેની બેગ (આશરે રૂ.18000) મળેલી હતી, જેને પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવી ઈમાનદારી સાથે ફરજ નિભાવી છે. ગાંધીધામ ખાતે જીવના જોખમે એક નાસતા ભાગતા ગુનેગારને પકડી પોલીસની મદદ કરી હતી. તથા પુર જેવી હોનારત પરિસ્થિતિમાં સુરત અને વડોદરાના સભ્યોએ જીવના જોખમે લોકોને મદદરૂપ થયા હતા અને મગર જેવા જોખમી પ્રાણીને પકડીને વન વિભાગને સોંપ્યું હતું. કચ્છ-પશ્વિમ જિલ્લા ખાતે આગ લાગેલાની પરિસ્થિતિમાં પણ દળના સભ્યોએ કામગીરી કરેલી છે. આમ ખુબ જ પ્રશંસનીય કામગીરી દળના સભ્યો પોતાની સામાજીક ફરજ સમજી બજાવી છે.

જીવનના તમામ ક્ષેત્રો અને વ્યવસાયોના લોકો આ દળમાં તેમની સેવાઓ પ્રદાન કરી રહ્યા છે જેમ કે, ડૉક્ટર, એન્જિનિયર, સુથાર, માળી અથવા તો સરકારી અધિકારી. ગુજરાત રાજ્યના આશરે 40 હજારથી વધુ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણના 11 હજારથી વધુ જવાનો આ કોન્ફરન્સને વંદે ગુજરાત ચેનલ દ્વારા લાઈવ નિહાળશે. હાલમાં 40000 થી વધુ હોમગાર્ડ સભ્યો અને 11000 નાગરિક સંરક્ષણ સભ્યો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સામાજિક સેવા, કુદરતી આફત અથવા કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે અને અમૂલ્ય સેવાઓ પ્રદાન કરી રહ્યા છે. તેથી જ આ બે દિવસીય કોન્ફરન્સ દ્વારા આ બંને દળોને વધુ મજબૂત, કાર્યક્ષમ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવશે.

  1. વડોદરામાં ટોળું બન્યું ઘાતકી, 3 ચોરોને ઢોર માર મારતા 1નું ઘટના સ્થળે જ મોત
  2. રણમાં પાણી કે પાણીમાં રણ !, આ વખતે સફેદ રણની ચમક માણવા જોવી પડશે રાહ

ABOUT THE AUTHOR

...view details