વાપીઃ દેખાવે તગડો લાગતો આ બકરો વાપીના ઉંમરફારૂક નામના મુસ્લિમ પરિવારનો છે. જેનું વજન 118 કિલો છે. જેને ખાસ કુરબાની માટે તૈયાર કરવામાં આવ્યો છે. ઈદમાં અપાતી કુરબાની અને તે માટે પોતાના બાળકની જેમ બકરાને મોટો કરવો અંગે ઉમરફારૂકે જણાવ્યું હતું કે, જેમાં પોતાનાપણાનો ભાવ હોય જેની કુરબાની હંમેશા દિલમાં રહી જાય એ જ સાચી કુરબાની છે.
![qurbani on bakra eid in vapi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-goat-sacrifice-pkg-gj10020_30072020171812_3007f_02088_656.jpg)
ઉમરફારૂક અને તેમનો પરિવાર દર વર્ષે રાજસ્થાનના મેવાડ અને પંજાબથી કુરબાની માટે ખાસ બકરા મંગાવતા હતા. પરંતુ, આ વખતે તેઓએ એક વર્ષ પહેલાં વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અરનાલાં ગામેથી આ બકરાને ખરીદ્યો હતો. જે બાદ એક વર્ષથી તેને સંતાનની જેમ માવજત કરી ઉંચી નસલનો બનાવ્યો છે. દરરોજ તેને ખાવા માટે વડ અને ફણસના પાન આપવામાં આવે છે. એ ઉપરાંત દોઢ કિલો જેટલા ઘઉં અને ગાયનું દૂધ પીવડાવાય છે. બકરો જાણે પરિવારનો એક સભ્ય હોય તે રીતે તેની દેખભાળ કરવામાં આવી છે.
![qurbani on bakra eid in vapi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-02-goat-sacrifice-pkg-gj10020_30072020171812_3007f_02088_1029.jpg)
વધુમાં ઉમરફારૂકે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઈદ નિમિત્તે તેની કુરબાની આપવામાં આવશે. ત્યારે આ દિવસ દુઃખનો દિવસ હશે. કેમ કે, આ બકરા સાથે લાગણીના સંબંધો બંધાયા છે. તેના એક અવાજે બકરો તેની પાસે આવી જાય છે. પરંતુ, કુરબાનીનો મતલબ જ એ છે કે, જેમાં તમે કોઈ તમારા પોતાનાની કુરબાની આપી હોય તેવો ભાવ કાયમ યાદ રૂપે મનમાં વસી જવો જોઈએ
ઉલ્લેખનીય છે કે, ઉમરફારૂક અને તેનો પરિવાર બકરા પાળવાના શોખીન છે. તેઓ પાસે આવા 25 જેટલા બકરા છે. જેને પોતાના ફાર્મમાં જ રાખીને પાળી રહ્યા છે અને ક્યારેય તેનું વેંચાણ કરતા નથી.