- રાજકોટ શહેરમાં કોરોના કહેર
- SNK સ્કૂલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું
- સારવાર માટે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે
રાજકોટ : સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો વ્યાપ વધતો જઈ રહ્યો છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોની મદદે આવવાના તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં તંત્ર ક્યાંક વામણું સાબિત થઇ રહ્યું છે અને તેના જ કારણે સામાજિક સંસ્થાઓ આ લડાઈમાં આગળ આવી છે. સોમવારથી રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી SNK સ્કૂલમાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં બની ચૂકેલા કોવિડ કેર સેન્ટરને પણ ટક્કર મારે તે પ્રકારનું કોવિડ સેન્ટર આ સ્કૂલ ખાતે બનાવવામાં આવ્યું છે.
કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે.
કોવિડ કેર સેન્ટરની શરૂઆત 50 બેડથી કરવામાં આવશે. દાખલ થનાર દર્દીને સેન્ટર ખાતે સીધા લાવી નહિ શકાય તે માટે દર્દી અથવા તો તેમના પરિવારજનોએ સેન્ટરના નંબર 6358845684 પર કોલ કરવાનો રહેશે. એડમિશન માટેની ફોન લાઈન રોજ સવારે સવારે 8 વાગ્યે શરૂ થશે. સેન્ટરમાં ફોન પર હાજર વ્યક્તિ જેટલા બેડ ની કેપિસિટી જે તે દિવસની હશે તેટલા જ કોલ એટેન્ડ કરશે. જો આપ ફોન કરો ત્યારે રેકોર્ડિંગ સાંભળવા મળે તો દર્દી અથવા તેમના પરિજનોએ માનવું કે બેડ ફૂલ થઇ ચુક્યા છે. જે માટે તેઓ ફરી બીજા દિવસે સવારે 8 વાગ્યે એડમિશન ફોન લાઈન શરૂ થાય ત્યારે પ્રયત્ન કરવાનો રહેશે. સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અહીં કોઈપણ જાતનું વેઇટીંગ લીસ્ટ રાખવામાં આવશે નહિ. દરરોજ તમામ લોકોને સારવાર કરાવવા માટે તક આપવામાં આવશે. સેન્ટર દ્વારા એડમિશન પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવશે.
મંજૂરી અને જરૂરિયાતને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધીની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
TGES ના ડાયરેકટર કિરણ ભાલોડિયાએ જણાવ્યું છે કે, હાલના તબક્કે 50 બેડથી શરૂઆત કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રિસોર્સ, મંજૂરી અને જરૂરિયાત ને ધ્યાનમાં રાખતા 500 બેડ સુધી ની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સેન્ટર નું તમામ સારવાર અને મેડિકલને લગતી બાબતો માટે HCG ગ્રુપ સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે. દાખલ થનાર દર્દીને રહેવા, જમવા તેમજ દવા બાબતે એક પણ રૂપિયો તેમને અથવા તો તેમના પરિવારજનોએ ચૂકવવાનો રહેશે નહિ.
દર્દીઓને મળશે વિનામૂલ્યે સારવાર
ઉલ્લેખનીય છે કે જે પ્રમાણે કોરોના વાઇરસના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેને જોતા રાજકોટ શહેરના TGES ગ્રુપના ડાયરેક્ટ કિરણભાઈ ભાલોડિયા, બીએપીએસ ના અપૂર્વમુની સ્વામી, રાજકોટ બિલ્ડર એસોસિએશન ના પ્રમુખ પરેશભાઇ ગજેરા, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ રમેશભાઇ ટીલાળા, જ્યોતિ સી.એન.સી કંપનીના માલિક પરાક્રમ સિંહ જાડેજા સહિતના અગ્રણીઓ એક સાથે એક પ્લેટફોર્મ પર આવીને રાજકોટ શહેરમાં એવા પ્રકારનું કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે જેમાં દર્દીએ એક પણ રૂપિયો સારવાર માટે ચૂકવવાનો નથી.