સુરત: 'રાજ્યના આરોગ્ય પ્રધાન ખોવાઈ ગયા છે, જે કોઈને જાણકારી મળે તે સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી' આ પ્રમાણેના બેનર સુરતના વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી દ્વારા લગાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી દ્વારા લગાડવામાં આવેલા આરોગ્યપ્રધાન વિરુદ્ધના બેનર અંગે ખુદ આરોગ્ય પ્રધાને આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે કે, આગામી દિવસોમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ આપ પાર્ટીએ હલકી કક્ષાની રાજનીતિ કરી છે.
સુરત સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાણાની ક્યાંક ખોવાઈ ગયા છે તે પ્રકારના બેનર વરાછા વિસ્તારમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા લગાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાનીએ આરોપ મુક્યો છે કે, આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીની સુરતમાં કેટલાક દિવસોથી ગેરહાજરી જોવા મળી રહી છે. લોકોના એકબાદ એક મોત થઈ રહ્યા છે, છતાં તેઓ દ્વારા કોઈ એક્શન પ્લાન જાહેર કરાયો નથી.
આપ પાર્ટીના આરોપ સામે આરોગ્ય પ્રધાને જણાવ્યું કે, આ એક હલકી કક્ષાની રાજનીતિ કરવામાં આવી છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. જેને લઈ ચૂંટણીમાં કોર્પોરેટર તરીકે બનવા એક જશ ખાટવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એક આરોગ્ય પ્રધાન તરીકે ફરજમાં આવતી તમામ ફરજ પુરી કરવામાં આવી છે. વધુ બેડની સુવિધા સાથે આઇસીયું વોર્ડ ઉભી કરવા સુધીનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરિવારના બે સભ્યોને કોરોના પોઝિટિવ હોવાથી ગાંધીનગર હતો અને સુરત આવી શકાય તેવી પરિસ્થિતિ ન હતી. ક્વોરોન્ટાઇન પીરિયડ પૂરો થતાં સુરતમાં હાજરી આપી છે અને ટેલિફોન દ્વારા અધિકારીઓ સાથે સંપર્કમાં રહી જે તે સૂચનાઓ આપવાની હતી તે આપી છે.