હિંમતનગર:સાબરકાંઠામાં જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે એક સાથે ચાર પશુ મોબાઇલ વાનનુ લોકાર્પણ કરવામાં આવ્યું છે જેના પગલે હવે જિલ્લામાં પશુપાલકો 1962 પર કોલ કરી પોતાના પશુની ઘર આંગણે નિઃશુલ્ક સારવાર કરાવી શકશે.
1962 મોબાઈલ પશુ દવાખાનાની સેવા માટે રાજ્ય કક્ષાએથી 108 જેટલી પશુ સારવાર માટેની એમ્બ્યુલન્સ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના શુભ હસ્તે રાજ્યભરમાં રવાના કરવામાં આવી હતી. જે પૈકી સાબરકાંઠા જિલ્લામાં પશુઓની સારવાર માટે 4 મોબાઈલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
જિલ્લા વિકાસ અધિકારી ડૉ. રાજેન્દ્ર પટેલે જણાવ્યું કે, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથી 10 ગામ દીઠ એક મોબાઈલ પશુ દવાખાનની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના કારણે પશુ પાલકો 1962 પર કોલ કરી પોતાના પશુની નિઃશુલ્ક સારવાર કરાવી શકશે જેથી પશુનું સ્વાસ્થ્ય સારું રહેશે અને પશુ પાલકોની આવકમાં વધારો કરી શકશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારની આ યોજના મારફતે નિ:શુલ્ક પશુ સારવાર સેવાઓ વર્ષના 365 દિવસ સવારે 7 થી રાત્રે 7 દરમ્યાન પશુપાલકોને ઘરે બેઠા ઉપલબ્ધ થશે. આ તમામ વાહનોમાં જી.પી.એસ.ની સુવિધા હોવાથી મુખ્યપ્નારધાનના ડેશબોર્ડ મારફતે યોજનાનું રીયલ ટાઈમ મોનિટરીંગ પણ કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં સાબરડેરી હોવાથી અહિં વધુ પ્રમાણમાં લોકો પશુ પાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે જેથી પશુપાલકોને મોબાઈલ પશુ દવાખાનની સેવાનો લાભ મોટા પ્રમાણમાં મળી રહેશે.જેમ માનવ આરોગ્યની ત્વરિત સારવાર માટે 108ની સેવાઓ હાલમાં કાર્યરત છે તેવી જ રીતે પશુ પાલકો માટે 1962 ટોલ ફ્રી નંબર ડાયલ કરવાથી વિના મૂલ્યે ઘરે બેઠા પશુની સારવાર માટે મોબાઈલ પશુ દવાખાનની સેવા મળી રહેશે જેથી આ સેવા પશુપાલકો માટે આશીર્વાદ રૂપ બની રહેશે.
પશુ પાલકોને હવે પોતાના પશુઓને દવાખાના સુધી લાવવા અને લઈ જવામાં જે મુશ્કેલીઓ પડી રહી હતી તે હવે નહીં પડે તેમજ પોતાના ઘરે બેઠા મોબાઈલ પશુ દવાખાનની સેવાથી પશુઓની સારવાર કરાવી શકશે જેથી પશુઓના મૃત્યુમાં પણ ઘટાડો થશે અને પશુ પાલકોની આવકમાં વધારો થશે તે નક્કી બાબત છે.