પોરબંદર મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ બીપી અગ્રાવતે જણાવ્યું હતું કે, મહેસુલ વિભાગના કર્મચારીઓ અગાઉ પણ સરકારને રજૂઆત કરી ચુક્યા છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા માત્રને માત્ર ખાતરી અને આશ્વાસન આપવામાં આવે છે. પડતર પ્રશ્નોનું કોઈ ચોક્કસ નિરાકરણ ન આવતા આજથી રાજ્યભરના મહેસુલ વિભાગ કર્મચારી અચોક્કસ મુદ્દતની હડતાળ કરવાનું નક્કી કર્યું છે.જેમાં પોરબંદર જિલ્લાના તમામ મહેસુલી કર્મચારી આ હડતાળમાં જોડાયા છે.
મહેસુલી વિભાગના કર્મચારી વર્ગ-3ના પડતર પ્રશ્નોમાં રેવન્યુ તલાટી સંવર્ગને મહેસુલ વિભાગમાંથી રદ્દ કરીને પંચાયત મંત્રી કેડરમાં પંચાયત વિભાગ સાથે મર્જ કરવા, ક્લાર્ક સંવર્ગના કર્મચારીઓને નાયબ મામલતદાર કક્ષામાંથી પ્રમોશન જિલ્લામાં જગ્યા ખાલી હોવા છતાં અન્ય જિલ્લામાં આવેલા છે, જેથી આવા કર્મચારીઓનું મૂળ મહેકમના જિલ્લામાં મુકવા બાબત તથા વર્ષ 2016ના વર્ષમાં એલ આર ક્યુ પાસ કરેલા 9 કારકુન સાથે ખાતાકીય તપાસ તથા એસીબી થયેલી હોય તેઓને બાદ કરતા બાકી રહેતા 26 કારકુનની અને નાયબ મામલતદારનું પ્રમોશન આપવા જેવા અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.