પાટણઃ સરકાર દ્વારા ખેડૂતોને પિયતના પાણીની પડતી તકલીફોને પહોંચી વળવા નર્મદાની સુજલામ સુફલામ કેનાલ બનાવવામાં આવી હતી. જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં સરદાર સરોવરમાં નવા નીર આવતા સરોવરની જળ સપાટી જાળવી રાખવા નર્મદાની કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇ પાટણ તાલુકાના ખેડૂતોએ પણ બારેમાસ સુકીભઠ રહેતી સરસ્વતી નદીમાં નર્મદાના પાણી છોડવાની માગ સાથે રજૂઆતો કરી હતી.
જેને અનુલક્ષી સરકારે ખેડૂતોની માગણીને ધ્યાને રાખી ખોરસમ પાણી પુરવઠા યોજના હેઠળ સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી નદીમાં 30 જુન સુધી 100 ક્યૂસેક પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જેને લઇ હાલમાં સરસ્વતી નદી નર્મદાના નીરથી વહેતી બની છે.
પાટણની સરસ્વતી નદીમાં નર્મદાના પાણી આવતા આસપાસની જમીનના તળ ઉચા આવશે, જેથી આગામી દિવસોમાં ખેડૂતોને સીધો ફાયદો થશે.