પાટણ : ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ તાજેતરમાં જ બે દિવસ પાટણની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન 4 સપ્ટેબરના રોજ પાટણની ઐતિહાસિક રાણ કી વાવ નિહાળી હતી. જ્યાં તેમની સાથે 70થી વધુ ભાજપના આગેવાનો કાર્યકરોએ સરકારની કોવિડ 19ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી વગર ટિકિટે આ ઐતિહાસિક રાણ કી વાવની મુલાકાત લીધી હતી.
![Congress deposits money in PM care fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-congressmoneydipositinpmfand-rtu-7204891_11092020135315_1109f_01063_209.jpg)
આ મામલે પાટણ નગરપાલિકા વિપક્ષના નેતા ભરત ભાટિયાએ વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્યના મુખ્ય પ્રધાન અને પુરાતત્વ વિભાગને ઈમેલ દ્વારા પત્ર લખી ટિકિટના નાણા ભરપાઇ કરવા રજૂઆત કરી હતી. તેમ છતાં ભાજપ દ્વારા રાણ કી વાવના ટિકિટના પૈસા ભરપાઈ ન કરાતા કોંગ્રેસ દ્વારા શહેરના વિવિધ માર્ગો પર દુકાનદારો લારી-ગલ્લા ધારકો, વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી એક રૂપિયાની ભિક્ષાવૃત્તિ કરી ભાજપના આગેવાનો અને કાર્યકરોનો અનોખી રીતે વિરોધ કર્યો હતો.
![Congress deposits money in PM care fund](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-congressmoneydipositinpmfand-rtu-7204891_11092020135315_1109f_01063_256.jpg)
આ ભિક્ષાવૃત્તિમા 2500 રૂપિયા એકત્ર થયા હતા. જે PM કેર ફંડમાં જમા કરાવવા માટે શુક્રવારે નગરપાલિકા વિપક્ષ નેતા ભરત ભાટિયાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો 2500 રૂપિયાનું પાર્સલ લઈ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે આવ્યા હતા. પોસ્ટ ઓફિસના પાર્સલ કાઉન્ટર પર આ પાર્સલ જમા કરાવ્યું હતું.
કૌટિલ્યના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો પ્રમાણે કર ચોરીની સજા ફાંસી છે, ત્યારે કર ચોરી કરનારા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોને સરકાર દ્વારા માફ કરવામાં આવે તેવી વિનંતી વિપક્ષ નેતા ભરત ભાટિયાએ સરકારને કરી હતી.
જાણો સમગ્ર વિવાદનો ઘટનાક્રમ
પ્રદેશ ભાજપ અધ્યક્ષે ઐતિહાસિક રાણ કી વાવ નિહાળી
4 સપ્ટેમ્બર - ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ પાટણની 2 દિવસની મુલાકાતે છે, ત્યારે પાટણમાં તેમના સ્વાગતમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સી. આર. પાટીલે ઐતિહાસિક રાણકી વાવ નિહાળી હતી.
પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના કાર્યકરોએ વગર ટિકિટે રાણ કી વાવ નિહાળતા વિવાદ સર્જાયો
6 સપ્ટેમ્બર - પાટણની બે દિવસીય મુલાકાતે આવેલા પ્રદેશ ભાજપના પ્રમુખે વિશ્વ ફલક પર ચમકેલી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવમાં 70 લોકોના કાફલા સાથે વગર ટિકિટે પ્રવેશ કરી નિહાળતા આ મુદ્દો શહેરમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. પાટણ નગરપાલિકાના વિપક્ષના નેતાએ આ મામલે રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખી નિયમ મુજબ ટિકિટના નાણા ભરાવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
તો શું સી.આર.પાટીલે ટિકિટ વગર રાણ કી વાવ જોઈ?, કોંગ્રેસનો આક્ષેપ
9 સપ્ટેમ્બર - પાટણઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ટિકિટ વગર રાણીની વાવ નિહાળી હાવોનો આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. રાણીની વાવ નિહાળવા મામલે પાટણમાં કોંગ્રેસ આગેવાનો એને કાર્યકરોએ ભિક્ષાવૃત્તિ કાર્યક્રમ કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ કાર્યક્રમ નગરપાલિકા વિપક્ષના નેતાની આગેવાની હેઠળ યોજાયો હતો. જેમાં લોકો પાસેથી એક રૂપિયાની ભીક્ષા માગી હતી. તે વડાપ્રધાન કેર ફંડમાં જમા કરાવવામાં આવશે.
ભાજપના નેતાઓના રાણ કી વાવના ટિકિટના પૈસા ભરપાઈ કરવા કોંગ્રેસે ભીખ માગી કર્યો વિરોધ
9 સપ્ટેમ્બર - પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકી વાવને ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત 70 કાર્યકરોએ વગર ટિકિટે નિહાળતા આ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે બુધવારે શહેરની બજારોમાં ભિક્ષાવૃત્તિ કરી દુકાને-દુકાને ફરી નાણાં એકત્ર કર્યા હતા. કોંગ્રેસના આ અનોખા વિરોધથી શહેરીજનોમાં રમૂજ પણ ફેલાયું હતું.