પંચમહાલ: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીરાપુર ગામમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા યુવાનનું મોત થયું હતું. જમીન બાબતની તકરાર ઉગ્ર બનતા થયેલી મારામારીમાં પોતાના મામાને બચાવવા માટે ગયેલા ભાણિયાને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામના વતની ભરત ગઢવીએ થોડા સમય અગાઉ શહેરા તાલુકાના મીરાપુર ગામમાં આવેલા અને ગોધરા લુણાવાડા હાઈવેને અડીને જ આવેલી જમીન ગોધરાના જીતુ રાવળ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જે દરમિયાન ભરત ગઢવી તેના મામા શામત ગઢવી સાથે પોતે ખરીદ કરેલી જમીન જોવા માટે ગયા હતા. મામા અને ભાણેજ જમીન જોવા માટે સ્થળ પર પહોંચી જમીન જોતા હતા. તે દરમિયાન આ જમીનના મૂળ મલિક ભલાભાઈ બામણીયા તેમનો પુત્ર ધર્મેન્દ્ર બામણીયા તેમજ તેમના પરિજનો આવી ગયા હતા. તેમણે ભરત ગઢવી તેમજ શામત ગઢવી સાથે જમીન બાબતે તકરાર કરી હતી. આ જમીન અમારી છે, તમે કબ્જો કરવા માટે કેમ આવ્યા છો તેમ જણાવી ભલાભાઈ બામણીયા દ્વારા ઉગ્ર બોલાચાલી કરી મારામારી કરી હતી.
જેમાં ઉશ્કેરાયેલા ભલા બામણીયાએ પોતાની કારમાંથી ધારિયું કાઢીને શામત ગઢવીના પીઠના ભાગે મારવા જતા હતા. તે દરમિયાન પોતાના મામાને બચાવવા માટે વચ્ચે પડેલા ભાણેજ ભરત ગઢવીને માથાના ભાગે ધારિયું વાગતા ગંભીર ઇજા પહોંચી હતી. ભલા બામણીયાએ બાદમાં ભરત ગઢવીને પેટના ભાગે પણ ધારિયાથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ગંભીર રીતે ઘવાયેલા મામા ભાણેજ દ્વારા પોતાના સ્વજનોને સમગ્ર બાબતની જાણ કરી હતી. સ્વજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજા પામેલા શામતભાઈ તેમજ ભરત ગઢવીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભરત ગઢવીનું મોત નિપજ્યું હતું. જમીન બાબતે થયેલી તકરારમાં નસીરપુર ગામના યુવકનું મોત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે ભલા બામણીયા તેમજ તેના પરિજનો સામે હત્યા અને મારામારીની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.