- કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલનું કોરોનાથી નિધન
- નાંદોદ કોંગ્રેસના MLA પી.ડી.વસાવા રડ્યા ચોધાર આંસુએ
- અહેમદ પટેલના નિધનથી નર્મદા-ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ
નર્મદાઃ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ખજાનચી અહેમદ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન ગુરુગ્રામની વેદાંતા હોસ્પિટલમાં 25 નવેમ્બરે વહેલી સવારે નિધન થતા એમના સમર્થકોમાં શોકની લાગણી ફેલાઈ છે. વર્ષોથી એમની સાથે અડીખમ રહેલા નાંદોદ કોંગ્રેસના MLA પી.ડી.વસાવા અહેમદ પટેલના નિધનના સમાચારથી ચોધાર આંસુએ રડી પડ્યા હતા. એમણે કહ્યું કે, અહેમદ પટેલ હંમેશા ગરીબોના હમદર્દ રહ્યા હતા. એમણે પોતાનું જીવન ગરીબોની સેવા અને કોંગ્રેસ માટે સમર્પિત કર્યું હતું.
અહેમદ પટેલને ગરીબોના હમદર્દ ગણાવ્યા
સ્વ. અહેમદ પટેલના વર્ષો જૂના સાથી MLA પી.ડી.વસાવા અને એમના પરિવારના સભ્યોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નાંદોદના MLA પી.ડી.વસાવાએ ચોધાર આંસુએ રડતા જણાવ્યું હતું કે, અહેમદ પટેલ મારા માર્ગદર્શક અને રાજકીય ગુરુ હતા. એમના નિધનથી નર્મદા-ભરૂચ જિલ્લો શોકમાં ગરકાવ થયો છે. અહેમદ પટેલ હંમેશા ગરીબોના હમદર્દ રહ્યા. તેઓ ગરીબોની વ્હારે આવતા હતા એમના દરેક દુઃખમાં સહભાગી બનતા. ગરીબ આદીવાસી પ્રજાની સાથે હું પણ એમના વિના નોંધારો થઈ ગયો છું. એમને ત્યાં કોઈ પણ સામાન્ય માનવી પોતાની રજૂઆતો લઈને રડતી આંખે જાય તો એ હસતો હસતો બહાર નીકળતો હતો.
કોઈ પણ કામ લઈને જાવ પણ એમના મોઢા માંથી "ના" શબ્દ કોઈ દિવસ સાંભળ્યો નથી. એમણે મારા જેવા હજારો લોકોને વિવિધ રાજકીય પદ આપ્યા હતા, તેઓ યુવાનોના માર્ગદર્શક હતા. રાત દિવસ ગરીબોની ચિંતા કરનારા જ હવે રહ્યા નથી, હવે આ વિસ્તારના પ્રશ્નો અમે કોને રજૂ કરીશું. એ ચિંતા હવે સતાવી રહી છે. કોંગ્રેસ જ્યારે પણ મુશ્કેલીમાં હોય ત્યારે અહેમદ પટેલે પોતાની સુઝથી અને આવડતથી મુશ્કેલીઓ આસાન કરી છે.
MLA રડ્યા ચોધાર આંસુએ : કહ્યું મને પી.ડી કહીને કોણ બોલાવશે?
પી.ડી.વસાવાએ રડતી આંખોએ જણાવ્યું કે, 1000 લોકોનું ટોળું હોય એમાંથી મને તેઓ "પી.ડી" એવા સ્નેહભર્યા શબ્દોથી બોલાવતા હતા. હવે એમના મોઢે હું એવા પ્રેમભર્યા શબ્દો ક્યારે સાંભળીશ? તેઓ નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા વાંદરી ગામને દત્તક લઈ વિકાસ કરી ગામને નંદનવન બનાવી જતા રહ્યા છે. વાંદરી ગામના લોકો પણ ખૂબ દુઃખી થયા છે, ગામ લોકોએ અહેમદ પટેલને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી એક દિવસનો શોક પણ પાળ્યો છે.