મહીસાગરઃ કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીને કારણે દેશ સહિત ગુજરાત રાજ્ય લડત આપી રહ્યું છે. ત્યારે કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. ત્યારે કોરોના સામેની લડતમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ કિસાન વિદ્યાલય દ્વારા નવતર અભિગમ અપનાવી કોરોના વાઈરસની સામે જનજાગૃતિ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
![immunity medicine distributed to students in lunawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-msr-03-10th-student-markshit-photo-2-gj10008_23062020170501_2306f_1592912101_432.jpeg)
કિસાન વિદ્યાલયનાં ઓ.કે.સી સંકુલમાં ધોરણ 10માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી. તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોના વાઈરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજિયાત માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું. સાથે-સાથે માર્કશીટ આપતી વેળાએ વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
અંદાજે 200 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. આમ કિસાન વિદ્યાલયના શિક્ષકો અને સંચાલકો દ્વારા નવતર અભિગમ અપનાવી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના વાઈરસ અંગે જનજાગૃતિ લાવી કોરોના સામેની લડતમાં સહભાગી બની સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું.