શ્રમ અને રોજગાર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન દિલીપકુમાર ઠાકોરે સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ યોજેલી સમીક્ષા બેઠકમાં જીએસડીએમએ દ્વારા સ્મૃતિવનના પ્રોગ્રેસીવ રીપોર્ટનું પ્રેઝન્ટેશન રજૂ કરીને થયેલી કામગીરી અને બાકી રહેતી કામગીરીની છણાવટ કરાઇ હતી.
જીએસડીએમએના સીઇઓ અનુરાધા મલ્લે કામગીરીના પ્રગતિ અહેવાલ સાથે કયું કામ કયાં તબકકે પહોંચ્યું છે અને તેને પૂર્ણ કરતાં કેટલો સમય લાગશે તેની કાર્ય સીમા સુનિશ્ચિત કરી તાત્કાલિક બાકીના કામો પૂર્ણ કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં સ્વૈંચ્છિક સંસ્થાઓ અને કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સ્મૃતિવન ખાતે અલગ-અલગ પ્રકારનાં કુલ 50 હજાર વૃક્ષો વાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું અને સમગ્ર બાબતે વિચાર-વિમર્શ કરાયો હતો. સ્મૃતિવનના બીજા ફેઝમાં વધુ 20 હજાર વૃક્ષોનું વાવેતર કરવા માટે જરૂરી સાથ-સહકાર આપવા એનજીઓના પ્રતિનિધિઓને અનુરોધ કરાયો હતો. ઉપરાંત 2001ના વિનાશક ભૂકંપમાં અંજારમાં દિવંગત 183 શહીદ બાળકોની સ્મૃતિમાં નિર્માણાધિન વીરબાળ ભૂમિ સ્મારક સમીક્ષા બેઠક પણ યોજાઇ હતી. વીરબાળ ભૂમિ સ્મારકના કાર્યો માટે નિયત કરાયેલી ચેસ્ટા એજન્સી દ્વારા બેઠકમાં પ્રેઝન્ટેશન રજૂ કરી વીર બાળ ભૂમિ ખાતે ચાલી રહેલા વિવિધ કામોનો ચિતાર આપવામાં આવ્યો હતો.