- મકરસંક્રાંતિ પર્વ યાત્રાધામ ડાકોરમાં ભગવાન અને ભક્તો કરે છે દાન
- ડાકોરમાં મકરસંક્રાંતિ પર ભગવાન દ્વારા ગૌદાન કરાયું
- આજે ભક્ત બોડાણાનો પણ જન્મદિવસ ડાકોરના ઠાકોર દ્વારા મકરસંક્રાંતિ પર્વ પર કરાયું ગૌદાન
ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ ડાકોરના ઠાકોર રાજાધિરાજ રણછોડરાયજી દ્વારા ગૌદાન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષોથી શાસ્ત્રોક્ત વિધિથી મંદિર ગૌશાળામાં ભંડારી બાબા દ્વારા ગૌદાન કરવાની પરંપરા છે.

મકરસંક્રાંતિ પર્વ પર દાન પુણ્યનું વિશેષ મહત્વ
મકરસંક્રાંતિ પર્વ પર દાન પુણ્યનો વિશેષ મહિમા રહેલો છે, ત્યારે યાત્રાધામ ડાકોર ખાતે ભગવાન પણ મકરસંક્રાંતિના દિવસે દાન પુણ્ય કરે છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાને કારણે આજે ભાવિક ભક્તો ગરીબોને દાન કરે છે. જેમાં અનાજ, ખાવાની ચીજ, તલ સાંકળી, ચીક્કી, પહેરવાના કપડા તેમજ ગરમ ધાબળા જેવી ચીજ વસ્તુઓનું દાન ભાવિકો દ્વારા ગરીબ લોકોને કરવામાં આવે છે.

મકરસંક્રાંતિ પર ડાકોરના ઠાકોર પણ કરે છે ગાયોનું દાન
મકરસંક્રાંતિ પર્વ પર ડાકોર મંદિરમાં ગૌદાનનો વિશેષ મહિમા રહેલો છે. જેમાં નાના ખેડૂતો કે સિમાંત ખેડૂતો તેમજ અન્ય ગાયની માવજત કરતાં હોય તેમને મંદિર ટ્રસ્ટ દ્વારા પત્ર લખી ગૌદાન માટે આમંત્રણ આપવામાં આવે છે. જે મુજબ 5 ગાયોનું દાન કરવામાં આવે છે. જે વિધિ ભગવાનની મંગળા આરતી તથા શૃંગાર આરતી થયા બાદ રણછોડજી ગૌશાળામાં પાંચ ગાયની પૂજા કરી ઘૂઘરી તેમજ કપાસિયા અને કંસાર ખવડાવી કરવામાં આવે છે. આ ગાયોને કંકુ ચોખાથી પૂજન કરવામાં આવે છે અને ત્યારબાદ યજમાનોને ગાયો ભેટ આપવામાં આવે છે.

આજે ભક્ત બોડાણાનો જન્મદિવસ
ડાકોર ખાતે મકરસંક્રાંતિ પર્વ પર શ્રીજીના ભક્ત બોડાણાનું પણ આજે એટલું અનેરૂ મહત્વ છે. આજે ભક્ત બોડાણાનો જન્મદિવસ હોવાથી લક્ષ્મીજીના મંદિર પાસે આવેલા ભક્ત બોડાણાના નિવાસ્થાને ભગવાનની સાથે તેમનું પણ આરતી પૂજન કરવામાં આવે છે.