- માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ICG એક આધારસ્તંભ સમાન
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશનનું ઉદ્ઘાટન કર્યું
- ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ જિલ્લા વડામથક ખાતે કાર્યક્રમ યોજાયો
જામનગરઃ ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ જિલ્લા વડામથક ખાતે 31 ડિસેમ્બર 2020ના રોજ યોજાયેલા ભવ્ય કાર્યક્રમ દરમિયાન ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેના કારણે આ દૂરસ્થ સ્થળ પર સામુદાયિક રહેઠાણની સગવડમાં વધારો થયો છે.
માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ICG એક આધારસ્તંભ સમાન છે
ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું આ પ્રસંગે સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ICG એક આધારસ્તંભ સમાન છે અને ગુજરાતના માછીમારોની 'આંખ અને કાન' તરીકે સક્રિય સહભાગીતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થાતંત્ર વધુ શક્તિશાળી બનશે. તેમણે 2020ના વર્ષમાં કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે પણ આ પ્રદેશમાંથી રૂપિયા 1700 કરોડના નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરીને યુવાનોને ડ્રગ્સથી બચાવવાની કામગીરી, 30 લોકોના જીવ બચાવવાની કામગીરી અને 3 બીમાર વ્યક્તિઓને દરિયામાંથી બચાવીને લાવવાની કામગીરી બદલ ICGને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ICGના એરક્રાફ્ટ અને સમુદ્રી અસ્કયામતો દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાથી સમુદ્રી સરહદ હંમેશા સલામત છે. મુખ્યપ્રધાને ભારતીય તટરક્ષક દળ અને રાજ્ય પ્રસાશન વચ્ચે અસરકારક તાલમેલ રહેવાની આશા રાખી હતી અને અપીલ પણ કરી હતી.
મુખ્યપ્રધાને ICGની છીછરા પાણીની કામગીરીઓના સાક્ષી બન્યા હતા
DHQ ઓખા ખાતે આ કાર્યક્રમના સમાપન વખતે, મુખ્યપ્રધાને ICGની છીછરા પાણીની કામગીરીઓના સાક્ષી બન્યા હતા અને સિગ્નેચર બ્રીજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે ICG હોવરક્રાફ્ટ પર પહોંચ્યા હતા. ICGની ભગીની સેવાઓ, જિલ્લા પ્રશાસનના મહાનુભવો, ICG પરિવારના સભ્યો અને ડિજિટલ/પ્રિન્ટ મીડિયાના કર્મીઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.