ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યારે અત્યારે 17 સપ્ટેમ્બર પોતાનો જન્મદિવસ હોવાથી દર વર્ષની જેમ ગાંધીનગર પાસે આવેલા રાયણના વૃંદાવન બંગલોઝમાં રહેતા પોતાના નાના ભાઈ પંકજ મોદીના ઘરે રહેતા માતા હીરાબાના આશીર્વાદ લેવાની પરંપરા વર્ષોથી જાળવી રાખતા હતા. મુખ્ય પ્રધાન હતા ત્યારે પણ ગાંધીનગર શહેરમાં આવેલા સેક્ટર 22 ના સરકારી ક્વાર્ટર્સમાં રહેતા માતાના આશીર્વાદ મેળવવા જતા હતા. પરંતુ આ વર્ષે વહેલી સવારે માતાના આશીર્વાદ લેવાની પરંપરા વડાપ્રધાને તોડી હતી.
વડાપ્રધાન માતા હીરાબાના આશીર્વાદ લેવા આવવાના હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો વડાપ્રધાનની એક ઝલક મેળવવા આતુર બન્યા હતા. વડાપ્રધાનનો કાર્યક્રમ એકાએક રદ થઇ જતા નિરાશ થયા હતા. જન્મ દિવસે વડાપ્રધાન અચૂક માતાના આશીર્વાદ લેતા હોય છે. ત્યારે આજે બપોરે 2 વાગ્યા બાદ વારાણસી જવા રવાના થાય તે પહેલા માતાના આશિર્વાદ લેવા આવે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.