ડાંગ: ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લઇ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ કલા-સાહિત્ય ક્ષેત્રે ડાંગનો ડંકો વગાડ્યો છે. ડાંગના છેવાડાના કેશબંધ ગામના સામાન્ય પરિવારમાંથી આવતા કલાપ્રેમી ઉત્સાહી યુવાન પ્રોફેસર ડો.જયંતિલાલ બારીસ કોરોના લોકડાઉન સમયે પોતાની કલાને પ્રદર્શિત કરી રાષ્ટ્રભાષા હિન્દી સાહિત્યની અનેક સંસ્થાઓની ઓનલાઈન સ્પર્ધાઓમાં ભાગ લઇને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઝળકી ડાંગને વિશ્વ ફલક ઉપર મુકી ગૌરવ અપાવ્યું.
![young poet professor from Keshbandh village made Dang proud at the world level in the lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-kavi-vis-gj10029_30062020115215_3006f_1593498135_301.jpeg)
ગુજરાત રાજ્યને છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્યને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે પંખીઓના કલરવ અને ખળખળ વહેતી નદીઓ અને ઝરણાઓ મનને આનંદવિભોર બનાવી દે છે. નાનકડો જિલ્લો હોવા છતા ઘણાં બધા ક્ષેત્રોમાં અલગ નામના ઉભી કરતા છુપા રત્નો ડાંગને ગૌરવ અપાવી રહયાં છે. આજે સાહિત્ય કલા પ્રેમી એવા યુવાન પ્રોફેસર અને હાલમાં આર.કે.દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપી ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.જયંતિલાલ ભીલખાભાઇ બારીસ નામના કવિએ ડાંગના અંતરિયાળ કેશબંધ ગામ,ગુજરાત રાજ્ય અને ભારત દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે નામ રોશન કર્યું છે.
![young poet professor from Keshbandh village made Dang proud at the world level in the lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-kavi-vis-gj10029_30062020115215_3006f_1593498135_402.jpeg)
વિશ્વ વ્યાપી કોરોના વાઇરસના કહેરને કારણે સમગ્ર વિશ્વના દેશોએ લોકડાઉન અમલીકરણ કરીને કોરોનાથી બચવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ સમય દરમિયાન આપણાં ભારત દેશમાં પણ 23 માર્ચ થી લોકડાઉન શરૂ થઇ ગયું. આ સમયગાળામાં લોકોને ફરજિયાત ઘરમાં જ રહેવું પડ્યું. સરકાર દ્વારા શાળા-કોલેજ બંધ રાખી ઓનલાઇન શિક્ષણ જેવા અનેક પગલાઓ લેવામાં આવ્યા. ઘણાં બધા લોકો પોતાના ઘરે રહીને મનગમતી પ્રવૃત્તિઓ કરતા રહ્યાં.
![young poet professor from Keshbandh village made Dang proud at the world level in the lockdown](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-kavi-vis-gj10029_30062020115215_3006f_1593498135_16.jpeg)
કેશબંધ ગામના સામાન્ય પરિવારમાંથી આવતા જયંતિલાલે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, તેમના પિતા ભીલખાભાઇ બારીસ અને માતા પાનીબહેન વરસાદ આધારિત ખેતી કરી ગુજરાન ચલાવે છે. ભણવાની તીવ્ર જિજ્ઞાસાવૃત્તિને કારણે પ્રાથમિક શિક્ષણ ગામમાં મેળવ્યું. ધો.10 ટેકનીકલ સ્કુલ મઢી ધો.12 સાર્વજનિક સ્કુલ સોનગઢ , બી.એ.નો અભ્યાસ વીર નર્મદ યુનિવર્સિટી, આર્ટસ કોલેજ આહવા, માસ્ટર ડીગ્રી ભાવનગર યુનિવર્સિટી,બી.એઙ કે.એસ.વી.ગાંધીનગર,એમ.એઙ નીલકંઠ એમ.એઙકોલેજ વિસનગર પાટણ યુનિવર્સિટી,એમ.ફીલ અને પીએચડી. સેન્ટ્રલ યુનિવર્સિટી ગાંધીનગરમાં ખૂબ જ સંઘર્ષ સાથે અભ્યાસ કર્યો હતો.
કોલેજ કાળ દરમિયાન સરકારી પુસ્તકાલય,આહવામાં નિયમિત વાંચન કરીને અચાનક ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એમફીલ,પીએચડીની જાહેરાત વાંચી અને એકમાત્ર સીટ આદિવાસીના ક્વોટામાં હતી. ખૂબ જ હિમ્મત રાખીને ઈન્ટરવ્યુ આપ્યું અને 50 ઉમેદવારોમાં તેઓની પસંદગી થઇ અને હિન્દી ભાષામાં કુકણા જનજાતિની લોકકથાઓ એક સમાજ શાસ્ત્રિય અધ્યયન વિષયે એમફીલ થયા. તેમજ ગામીત અને કુકણા જનજાતિના લોકગીત એક અધ્યયન વિષયે પીએચડીની પદવી પ્રાપ્ત થઇ.
લોકડાઉનના સમયે વિશ્વ હિન્દી રચનાકાર મંચ,દિલ્હીના પ્રા.રાઘવેન્દ્ર ઠાકુરના માર્ગદર્શન દ્વારા હેઠળ ડો.જયંતિલાલે ઓનલાઈન રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કાવ્ય સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. તેમણે મોબાઇલના માધ્યમથી પોતાના ઘરે તેમજ ખેતરોમાં જ્યાં નેટવર્ક મળે ત્યાંથી વિવિધ ઓનલાઈન વેબિનાર તેમજ કાવ્ય સ્પર્ધાઓ માં ભાગ લીધો. 12 જૂનના રોજ વિશ્વ બાળશ્રમ નિષેધ દિવસે નચિકેતા બાલ સાહિત્ય સન્માન,ગાંધીનગરની કાવ્ય રચના સ્પર્ધામાં હરિયાણા,પંજાબ,હિમાચલ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ,મહારાષ્ટ્ર જેવા કુલ ૧૯ રાજ્યોના લોકોએ ભાગ લીધો હતો. જેમાં દ્વિતિય ક્રમ મેળવ્યો હતો. હિન્દી સાહિત્ય રત્ન સન્માન,ઈન્ટરનેશનલ,અરરિયા,બિહાર માં ત્રીજો ક્રમ મેળવ્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક મેળવી નિરજ શબ્દ શીલ્પી સન્માન મેળવી ડો.જયંતિલાલે ડાંગ,ગુજરાત અને ભારત દેશનું નામ વિશ્વમાં ગુંજતુ કરી દીધું છે.
ડો.જયંતિલાલે કુલ 8 જેટલી ઓનલાઈન કાવ્ય સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં મેરી માં,કવિતા મંજિલ,જિંદગી, સોનેરી સંધ્યા,પૃથ્વી દિવસ ઉપર હમારી ધરા,સરકારી કર્મચારી કોરોના યોધ્ધા, આમ્રગુચ્છ,ચાંદ કી ચાંદની,યે જિંદગી જેવી સદાબહાર કાવ્ય રચનાઓ રજૂ કરી હતી. ડો.જયંતિલાલના અત્યાર સુધી 15 આર્ટીકલ, 85 કાવ્ય રચનાઓ અને 5 પુસ્તકો પ્રકાશિત થયા છે. ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના આચાર્યા ડો.પ્રિતિબેન ચૌહાણ સહિત સમગ્ર શિક્ષણ વિભાગે ડો.જયંતિલાલને આ સિધ્ધિ મેળવવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.