દાહોદઃ કોરોના વાઈરસને વકરતો અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કર્યાના બીજા દિવસે શહેર અને જિલ્લામાં જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા નીકળતા લોકોની ભીડ જોવા મળી રહી છે. આવશ્યક વસ્તુઓની ખરીદી વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખતા નહીં હોવાનું પોલીસ અને પ્રશાસનના ધ્યાને આવ્યું છે. લોકડાઉન દરમિયાન 144ના જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડાએ જણાવીને પ્રજાજોગ સંદેશ આપ્યો છે.
કોરોના વાઈરસની મહામારી સામેની લડાઈમાં વિજય મેળવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન શહેર અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા નીકળતા કેટલાક લોકો ભીડભાડમાં જોવા મળી રહ્યા છે.
લોકોએ ખોટી અફવાથી ભરમાયા વગર રોજિંદી આવશ્યક ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કેટલાક લોકો હમણાં ખરીદી કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના પડાપડી કરતા હોવાનું ધ્યાને આવ્યું હોવાનું જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના ધ્યાનમાં આવ્યુ છે.
જેથી દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે જણાવ્યું છે કે, દાહોદ નગરમાં હવે કરફ્યુનો સઘન અમલ કરાવવામાં આવશે. જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે આપવામાં આવેલી છૂટછાટ દરમિયાન લોકો ખોટી રીતે ભીડ ના કરે તે જરૂરી છે. આ માટે નિયત અંતર રાખીને જ ઉભા રહે તે જરૂરી છે. દાહોદમાં કરફ્યુના ભંગ બદલ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી ભીડ ન કરવા અપીલ કરાઈ છે.