ભરૂચ : ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય લોકોનો સૌથી મોટો તહેવાર એટલે છઠ્ઠ પૂજા. આ તહેવારમાં ડૂબતા અને ઉગતા સૂરજની પૂજા કરવામાં આવે છે. માતા પોતાના બાળકોના લાંબા આયુષ્ય અને તંદુરસ્તી માટે વહેતા પાણીમાં ઉભા રહીને સૂર્યદેવની પૂજા કરે છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના પાનોલી, સંજાલી, ગડખોલ, અંડાળા જેવા વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં પરપ્રાંતિય સમાજના લોકો રહે છે. તેઓ અન્ય રાજ્યો જેમ અહીંયા પણ ભારે ઉત્સાહ સાથે આ તહેવારની ઉજવણી કરે છે.
છઠ્ઠ પૂજા એટલે પ્રકૃતિની પૂજા : છઠ્ઠ પૂજામાં કુદરત અને તેના વિવિધ તત્વોની પૂજાનું વિશેષ મહત્વ રહ્યું છે. છઠ્ઠ પૂજામાં કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવતી નથી. પરંતુ આ પર્વમાં ઉગતા અને આથમતા સૂર્યની પૂજા કરવામાં આવે છે. જળને પણ સૂર્ય જેટલું મહત્વ આપીને તેની વિશેષ પૂજા કરવામાં આવે છે. છઠ્ઠ પૂજાના મહાપર્વની ઉજવણી માટે મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા પણ રહ્યો છે.
નહાય ભોજનનું મહત્વ : બિહાર જેવા ઉત્તર ભારતીય રાજ્યોમાં છઠ્ઠ પૂજાનો માહોલ છવાયો છે. છઠ્ઠ પૂજા ઉત્સવની શરૂઆત નહાય ભોજન સાથે થાય છે. આ વર્ષે 17 નવેમ્બરના રોજ સૂર્યોદય સવારે 06:45 વાગ્યે થશે, જ્યારે સૂર્યાસ્ત સાંજે 05:27 કલાકે થશે. નહાય ભોજન સાથે જ આ છઠ્ઠ પૂજાના મહાપર્વની શરૂઆત થાય છે.
છઠ્ઠ પૂજાની પરંપરાગત વિધિ : ઉત્તર ભારતીય સમાજના પરિજનોએ પૂજા વિધિ માટે નહેર કુંડ સહિતની સફાઈ કરાવી ત્યાં બેડી ઉભી કરી તેનું રંગરોગાન કરવામાં આવી રહ્યું છે. જેમાં ઉત્તર ભારતીય પરિવારની મહિલાઓ ઉપવાસ રાખીને રવિવારે સાંજે 4 કલાકે અસ્ત પામતા સૂર્યદેવને અધ્ય અને સોમવારે સવારે 7 કલાકે ઉગતા સૂર્યને અધ્ય આપીને છઠ્ઠ પૂજાની ઉજવણી કરશે. આ કઠોર વ્રતના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરના ગડખોલ, સારંગપુર, ભડકોદ્રા, કોસમડી, કાપોદ્રા, સંજાલી, પાનોલી સહિત ગામમાં દિવાળી ઉત્સવ જેવો માહોલ સાથે 4 દિવસીય છઠ્ઠ પૂજાની શરૂઆત કરવામાં આવી હોય છે. જેથી શહેરમાં વસતા પરપ્રાંતીય લોકો બજારમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે.
પરપ્રાંતિય લોકોની કર્મભૂમિ : અંકલેશ્વરમાં 50 હજારથી વધુ ઉત્તર ભારતીય લોકો વસવાટ કરે છે. અહીંયા એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતને લઈ ઉત્તર ભારત સહિતના વિવિધ પ્રાંત લોકો અંકલેશ્વરને કર્મભૂમિ બનાવી વસવાટ કરે છે. અંકલેશ્વર શહેરમાં દિવાળી પર્વની ઉજવણી બાદ હવે છઠ્ઠ પૂજાનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં સૌથી વધુ ગડખોલ ગામમાં ઉત્તર ભારતીય પરિવાર વસવાટ કરે છે. જેથી છઠ્ઠ પૂજાની ઉજવણી માટે ગડખોલ પંચાયત દ્વારા વિશેષ તૈયારી કરવામાં આવી છે. જેમાં મીઠા ફેક્ટરી તેમજ અંબિકાનગર ખાતે પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવી છે.