ડીસા : છેલ્લા ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને સરેરાશ દરેક તાલુકાઓમાં ચારથી આઠ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તેના કારણે અનેક રસ્તાઓ ધોવાઈ ગયા છે. રસ્તા ધોવાઈ જતા વાહનચાલકો ભારે હાલાકીનો કરી રહ્યા છે. ખાસ કરીને ડીસાથી ધાનેરા, થરાદ, વાવ, કાંકરેજ, દિયોદર સહિતના 8 જેટલા તાલુકાઓને જોડતા માર્ગ પર પાંચ-પાંચ ફૂટ ખાડા પડી ગયા છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસે સામાન્ય વરસાદમાં જ પાંચ પાંચ ફૂટ ખાડા પડી જતા રોજના પાંચથી સાત હજાર વાહન ચાલકોને અસર થઈ છે.
સતત ટ્રાફિક જામ : અહીંથી પસાર થતા વાહનો ખાડામાં પટકાતા વાહનોને નુકસાન તો થાય જ છે, પરંતુ દિવસભર સતત ટ્રાફિક જામ પણ રહે છે. આ માટે સ્થાનિક લોકોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ આ સમસ્યાનો હજુ સુધી કાયમી ઉકેલ આવ્યો નથી. દર વખતે સામાન્ય વરસાદમાં જ મોટા ખાડા તંત્રની બેદરકારીનો ભોગ લોકો બની રહ્યા છે. આ મામલે ડીસાના નાયબ કલેકટરને પૂછતા તેમણે લોકોને આશ્વાસન આપતા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની બાંહેધરી આપી હતી.
આ હાઈવે પર મુખ્યત્વે નેશનલ હાઈવે ઓથોરિટી અને આરએનબી સ્ટેટમાં આવે છે તેથી બંને શાખાઓના અધિકારીઓ દ્વારા તેમની રીતે લેવલિંગ કરવામાં આવ્યું હતું. જોકે બંને શાખાઓના કોન્ટ્રાક્ટરોને અધિકારીઓ દ્વારા અલગ અલગ રીતે લેવલિંગ કરવામાં આવતા લેવલિંગ કરવામાં મોટી ભૂલ થઈ છે. જેના કારણે અહીં આગળ વારંવાર વરસાદી પાણી ભરાય છે અહીંયા રસ્તો તૂટી જાય છે. પરંતુ અમે સંકલન સમિતિમાં આ મુદ્દાને મૂક્યો છે અને રજૂઆત કરી છે. જેથી આવનાર સમયમાં એનું યોગ્ય નિરાકરણ લાવવા માટેના અમારા તરફથી તમામ પ્રયત્નો કરવામાં આવશે... નેહા પંચાલ (નાયબ કલેક્ટર, ડીસા )
ડીસાના હાર્ટ સમાન ગણાતા સર્કલ પર ખાડા રાજ : બનાસકાંઠા જિલ્લાનું ડીસા શહેર વેપારી મથક તરીકે ઓળખાય છે દિશાની બાજુમાં આવેલા આખોલ ચાર રસ્તા પાસે છેલ્લા કેટલાક વર્ષોથી રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે જેના કારણે અવારનવાર વાહનચાલકો હેરાન થાય છે મહત્વની વાત છે કે જે રીતે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આ સર્કલ પર અત્યારે ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે જેના કારણે સમગ્ર રસ્તો તૂટી ગયો છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. આ સર્કલ પરથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે અને આ ખાડાઓનો ભોગ બન્યો છે ત્યારે અનેક વાર તો આ ખાડાઓના કારણે અહીં ગંભીર અકસ્માત સર્જાય છે.
શું છે લોકોની માગ : આ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં વાહન ચાલકોએ જણાવ્યું હતું કે અમે છેલ્લા કેટલાક સમયથી અહીંથી વાહન લઈને પસાર થઈએ છીએ. પરંતુ જ્યારથી જોઈએ છીએ ત્યારથી આ રસ્તો આની આ જ પરિસ્થિતિમાં છે. તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આનો કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી અને અહીં ઢીંચણસમા પાણી ભરાઈ જાય છે તેથી ખાડાઓ દેખાતા નથી અને વાહન ખાડામાં પટકાય છે. જેના કારણે અનેક અકસ્માત સર્જાય છે અને લોકો આ અકસ્માતનો ભોગ બને છે. ત્યારે અમારી એક જ માગ છે કે તંત્ર દ્વારા સત્વરે આ સર્કલ પર ખાડા પુરી રોડ બનાવવામાં આવે તેથી અવારનવાર જે અકસ્માત સર્જાય છે તે ન સર્જાય અને વાહનચાલકોને હાલાકી ન પડે.